Corona virusના સતત ફેલાવાથી આખી દુનિયા ચિંતામાં છે. આ વાયરસ અત્યારસુધી ત્રણ હજાર જેટલા લોકો મોતને ભેટી ચૂક્યા છે, ત્યારે આ વાયરસનો ભોગ બન્યા બાદ સાજા થઈ ગયેલા એક વ્યક્તિએ પોતાનો અનુભવ શેર કર્યો છે. ચીનમાં રહેતા અને મૂળ બ્રિટનના આ વ્યક્તિએ જણાવ્યું છે કે Corona virusનો ચેપ લાગી જાય ત્યારે કેવી-કેવી તકલીફો થાય છે, અને શરીર પર તેની કેવી અસર જોવા મળે છે.
કોનોર રીડ નામનો 25 વર્ષનો આ બ્રિટિશ યુવક વુહાનમાં જ રહે છે. દુનિયા આ વાયરસને જાણતી પણ નહોતી ત્યારે તેને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો. 25 નવેમ્બર 2019ના રોજ તેને શરદી થઈ હતી. તેને સતત છીંકો આવ્યા કરતી હતી, અને તેની આંખો લાલ થઈ ગઈ હતી. જોકે, તેમ છતાંય તેણે કામ પર જવાનું ચાલુ રાખ્યું હતું. કોનોર ચીનમાં ઈંગ્લિશ શીખવવા આવ્યો હતો, અને કોરોનાવાયરસના એપિસેન્ટર મનાતા વુહાનમાં જ રહેતો હતો.
જ્યારે કોરોનાવાયરસ વિશે દુનિયામાં ખાસ જાણકારી નહોતી ત્યારે જ કોનોરને તેનો ચેપ લાગી ગયો હતો. પોતાને થયેલી શરદી આટલી ભયાનક નીવડશે તેની તેણે કલ્પના પણ નહોતી કરી. જોકે, બીજા દિવસે તેના ગળામાં સોજો આવી ગયો. તેણે ગરમ પાણીમાં મધ નાખીને આખો દિવસ પીધે રાખ્યું, પરંતુ તેનાથી તેને કશોય ફરક પડ્યો નહીં.
27 નવેમ્બરે સ્થિતિ ઓર બગડી. જોકે, તેને ચાલવા ફરવામાં કોઈ તકલીફ નહોતી. શરદી મટવાને બદલે વધુને વધુ ગંભીર બનતી જતી હતી. ક્યારેય સિગરેટ કે દારુ ન પીતા કોનોરે મધ અને ગરમ પાણીમાં વ્હિસ્કિ પણ નાખી. તે વખતે વાયરસના કોઈ સમાચાર પણ ના આવ્યા હોવાથી તેને એમ જ હતું કે તેને સામન્ય શરદી થઈ છે, અને તેના કારણે જ તેણે ઘરગથ્થુ ઉપચાર ચાલુ રાખ્યા.
વ્હિસ્કિ લીધા બાદ 28 નવેમ્બરે કોનોરને થોડો ફરક લાગ્યો. તે ખૂબ જ ઊંઘ્યો. તે દિવસે સાંજે પણ તેણે થોડી વ્હિસ્કિ લીધી. અને 29 નવેમ્બરે તેને શરદીમાંથી થોડી રાહત લાગી. પરંતુ 30 નવેમ્બરે તેને આખા શરીરમાં ભયાનક દુ:ખાવો શરુ થયો. તેનું માથું જાણે ફાટી રહ્યું હતું, આંખોમાં મરચું પડ્યું હોય તેમ બળી રહી હતી, ગળાની હાલત એવી હતી કે તે કંઈ બોલી શકે તેમ નહોતો. શરદી છાતીમાં પહોંચી ગઈ હતી અને કફ પણ થઈ ગયો હતો.
શરદી થયાના આઠમા દિવસે આખરે કોનોરે તે જ્યાં ભણાવતો હતો તે સ્કૂલે જવાનું માંડી વાળ્યું. તેના એકેએક હાડકાં દુ:ખી રહ્યા હતા. હવે તેને લાગ્યું કે આ શરદી અને તાવ ઘરગથ્થુ ઉપચારથી મટવાના નથી. તેની હાલત એવી હતી કે તે પથારીમાંથી ઉભો પણ નહોતો થઈ શકતો. ઉધરસ ખાવામાં પણ તેની છાતી જાણે ભીંસાતી હતી. નવમા દિવસે તેણે જોયું કે તેના ઘરની આસપાસ ફરતી બિલાડી પણ વિચિત્ર વર્તન કરી રહી હતી, અને તે કાંઈ ખાઈ પણ નહોતી રહી.
દસમા દિવસે પણ તાવ યથાવત રહ્યો. કોનોર વ્હિસ્કિની અડધાથી વધુ બોટલ પૂરી કરી ચૂક્યો હતો. આખરે 11મા દિવસે અચાનક તેની હાલત સુધરી ગઈ. તાવ ઓછો થયો, પરંતુ તેણે જોયું કે તેની પાલતુ બિલાડી મરી ગઈ હતી. બારમા દિવસે તેને લાગ્યું કે તાવ હવે ઓછો થઈ રહ્યો છે, પરંતુ તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. વુહાનમાં તે સમયે કડકડતી ઠંડી પડી રહી હોવા છતાંય તેને પરસેવો થઈ રહ્યો હતો, આંખો બળી રહી હતી અને તે ધ્રુજી રહ્યો હતો. આપસાપ શું થઈ રહ્યું છે તેનું તેને કશુંય ભાન જ નહોતું રહ્યું.
શરદી થયાના 12મા દિવસે બપોર બાદ કોનોરની હાલત વધુ બગડી. તેને ગભરામણ થઈ રહી હતી. જિંદગીમાં ક્યારેય આવી રીતે માંદો ન પડેલો કોનોર શ્વાસ છોડતો ત્યારે ફેફસામાંથી જાણે પેપરબેગ કચડાઈ રહી હોય તેવો અવાજ આવતો. તે ઈમરજન્સી સર્વિસને ફોન કરવાની તૈયારીમાં હતો, પરંતુ તેને લાગ્યું કે તે એટલો પણ માંદો નથી કે મરી જાય, અને તેમાં ખર્ચો વધારે થશે તેમ માની તેણે ડોક્ટર પાસે જવાનું માંડી વાળ્યું.
આખરે તે ટેક્સી લઈ ઝોનંગનાન યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં કેટલાક વિદેશી ડોક્ટરો પણ હતા. ડોક્ટરે તેને ન્યૂમોનિયા થયો હોવાનું નિદાન કર્યું, અને તેના અનેક ટેસ્ટ પણ કરાવાયા. 13મા દિવસે તે પોતાના ઘરે હતો, પરંતુ ડોક્ટરે લખી આપેલી દવા લેવામાં કોરોન અચકાઈ રહ્યો હતો. તેણે દવાના બદલે ઉકળતા પાણીમાં ટાઈગર બામ નાખી નાસ લેવાનું શરુ કર્યું. જેનાથી થોડો ફરક લાગ્યો, અને 20મા દિવસે કોરોન ચાલી-ફરી શકે તેવો સ્વસ્થ થઈ ગયો. શરદી પણ હવે લગભગ મટી ગઈ હતી.
શરદી અને ન્યૂમોનિયાથી રાહત મળ્યા બાદ કોનોર જોબ પર જવાનું વિચારી જ રહ્યો હતો, પરંતુ 22મા દિવસે તેના આખા શરીરમાં ફરી દુ:ખાવો શરુ થયો. જે એટલો ભયાનક હતો કે તેના પર જાણે ટ્રક ફરી વળી હોય તેવું તેને લાગી રહ્યું હતું. કાનમાં સણકા થઈ રહ્યા હતા. પરંતુ બે દિવસ બાદ તે ફરી સાજો થઈ ગયો.
36મા દિવસે તેને જાણવા મળ્યું કે વુહાનમાં એક નવો વાયરસ લોકોને પોતાના શિકાર બનાવી રહ્યો છે. વુહાનમાં જાતભાતની અફવાઓ પણ શરુ થઈ હતી. લોકોએ જીવનજરુરી ચીજવસ્તુઓનો ઘરમાં સ્ટોક કરવાનું શરુ કરી દીધું હતું. 37મા દિવસે વુહાનમાં લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. વાયરસની શરીર પર કેવી અસર થાય છે તે કોનોરને જાણવા મળ્યું, અને તેને અહેસાસ થયો કે આવું તો તેની સાથે થઈ ચૂક્યું છે.
52મા દિવસે હોસ્પિટલ તરફથી તેને કહેવામાં આવ્યું કે તેને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો. પરંતુ હવે તે સાજો થઈ ચૂક્યો છે, અને ફરી તેને વાયરસનો ચેપ નહીં લાગે કારણકે શરીરની રોગપ્રતિકારક શક્તિએ તેની સામે લડવાનું શીખી લીધું છે. જોકે, તેને માસ્ક પહેરેલું રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.
કોનોરનું કહેવું છે કે તે વુહાનના ફિશ માર્કેટમાંથી હંમેશા શોપિંગ કરતો હતો, અને કદાચ તેને ત્યાંથી જ આ વાયરસનું ઈન્ફેક્શન લાગ્યું હશે. જોકે, આ માર્કેટમાં જેવા મીડિયામાં દાવા થાય છે તે અનુસાર ચામાચિડિયા કે કોઆલા જેવા પ્રાણી તેણે ક્યારેય આ માર્કેટમાં જોયા જ નથી.
હાલના છાપાં કોરોનાવાયરસને ભયાનક ગણાવી રહ્યા છે, પરંતુ કોનોરે તો તેનો સામનો ઘરગથ્થુ ઈલાજથી જ કરી લીધો હતો. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે તેને જ્યારે શરદી અને બીજી તકલીફો થઈ હતી ત્યારે તેણે કલ્પના પણ નહોતી કરી કે તેની બીમારી આટલી ભયાનક હશે. કોનોર હજુય ચીનના વુહાનમાં જ છે. તેણે વ્હિસ્કી, મધ અને ગરમ પાણીથી પોતે કોરોનામાંથી સાજો થઈ ગયો હોવાના કરેલા દાવાને અનેક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ વેબસાઈટમાં પ્રસિદ્ધ પણ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..