વરાછા-કાપોદ્રાના સવજી કોરાટ બ્રિજ પરથી સોપારીના વેપારીએ તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હતો. તાપી નદીમાં યુવાન કૂદ્યો હોવાની જાણ બ્રિજ પરથી પસાર થતાં રાહદારીએ ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. રાહદારીએ ચોક્કસ લોકેશન જણાવતા ફાયર વિભાગના જવાનોએ યુવકની શોધખોળ આદરી હતી. યુવકને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેપારીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છેકે, ચેતન મનસુખ પડસાલા નામના સોપારીના વેપારીએ વહેલી સવારે 6.39 વાગ્યે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ચેતન વ્રજરાજ એપાર્ટમેન્ટ, વ્રજ ચોક સરથાણા, વરાછાનો રહેવાસી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ઘટના સ્થળ પાસેથી પોલીસે મોપેડ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોતની છલાંગ લગાવતા પહેલા ચેતને પોતાના પિતા સાથે છેલ્લે વાત કરી હતી. પોલીસ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. ચેતન તાપીમાં કૂદ્યો હોવાની જાણ થતા પરિવારજનો સવજી કોરાટ બ્રિજ દોડી આવ્યા હતા.