ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાતા પર્યાવરણના સાચા રક્ષક પ્રેમજીભાઇ પટેલનું નિધન; 45 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવ્યા, 2500 ચેકડેમ, 5 હજારથી વધુ વરસાદી પાણીના ટાંકા બનાવ્યા

પર્યાવરણ ક્ષેત્રે ઝાડવાવાળા બાપાની ઓળખ ઉભી કરનાર ઉપલેટાના પ્રેમજીભાઇ પટેલનું 25મી ડિસેમ્બરની સાંજે અમદાવાદમાં 90 વર્ષની ઉંમરે નિધન થયું હતું. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર પરિવારની હાજરીમાં અમદાવાદમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બાપાની અંતિમ ઇચ્છા હતી કે તેમના અંતિમસંસ્કારમાં લાકડું બાળવામાં ના આવે. એટલે જ તેમણે જીવતેજીવ ઉપલેટામાં એક ખાડો ખોદાવી સમાધિ માટેની તૈયારીઓ પણ કરી લીધી હતી. પ્રેમજીભાઈને આજીવન વૃક્ષારોપણ કર્યા બાદ મૃત્યુ પછી અંતિમદાહ માટે વૃક્ષ કપાય એ પસંદ નહોતું. તેમની અસ્થિને વતન ઉપલેટા લઇ જવાશે અને એ જ સ્થળે બાપાએ નક્કી કરેલું છે ત્યાં જ વિસર્જન કરાશે. આખું જીવન તેમણે પર્યાવરણને સમર્પિત કરી દીધું હતું.

નામ તેમનું પ્રેમજીભાઇ પટેલ. પણ સાચી ઓળખાણ ઝાડવાવાળા પ્રેમજીબાપા તરીકે. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો રોપ્યાં હતા અને 2500 આસપાસ ચેકડેમ, પાંચ હજાર જેટલા વરસાદી પાણીના ટાંકાના સર્જનમાં તેમનો સિંહ ફાળો હતો. ઉપલેટાના ભાયાવદરના પ્રેમજીભાઈ પટેલનો જન્મ ખેડૂત પરિવારમાં 9 ઓક્ટોબર, 1931ના રોજ થયો. 1975માં રિલાયન્સના ડિસ્ટ્રીબ્યુટર બન્યા હતા અને મુંબઇ ગયા. પણ તેમના મનમાં મનુભાઇ પંચોળીના એક નાટકનું પાત્ર ગોપાળબાપા રમી રહ્યું હતું. વૃક્ષારોપણ અને જળસંચય માટે મુંબઈમાં ધીકતો ધંધો છોડી અભિયાન શરૂ કર્યું હતું, જ્યારે તેમણે મુંબઇ અને ધીકતી કમાણી છોડવાનો નિર્ણય કર્યો ત્યારે એ સમયે તેમની આવક મહિને એક લાખ હતી. તેમની કામગીરીની સરાહના પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે પણ કરી હતી. તેમણે બીજ રોપવાની શરૂઆત મંદિરોની આજુબાજુ કરી હતી. 1968માં વૃક્ષ પ્રેમ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી આ કામગીરીને આગળ વધારી હતી.

બાપા રોજ સવારે બીજ લઇ નીકળી પડતા અને ખુલ્લી જમીન અને રોડની આસપાસ બીજ રોપતા. પછી મોટરસાઇકલ ખરીદી, કાર્યકરો અને વિદ્યાર્થીઓની મદદ લીધી. પહેલાં 5 વર્ષમાં જ મોટરસાઇકલ 1.50 લાખ કિમી ફરી ગઇ. તેમણે ભંગાર બજારમાંથી એક મોટર, પંખો અને પાઇપ ખરીદી અને રૂ. 12000ના ખર્ચે બ્લોઅર મશીન તૈયાર કરાવી જીપ પાછળ નખાવી દીધું. આ મશીન દ્વારા 15 મીટર સુધી બીજ રોપવામાં આવતા હતા. રેલવે ટ્રેકની આસપાસ માટે પણ આ મશીનનો ઉપયોગ કર્યો.

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરતાં ખબર પડી કે જેટલી પણ વેરાન જમીન છે ત્યાં અગાઉ લીલાછમ વૃક્ષો હતા. જૂના વખતના લોકો કહેતા કે જુનાગઢનો વાંદરો દ્વારકા જાય તો તેને કયાંય નીચે ના ઉતરવુ પડે એટલા વૃક્ષો હતા. પણ બળતણ માટે આ બધા વૃક્ષો કપાઈ ગયા છે. આ જાણીને તેનો જીવ બળી ગયો.અને મનોમન નકકી કરી લીધુ કે તેઓ ધરતી માતાને લીલી ચુંદડી ઓઢાડશે અને એ અભિયાન માટે આખી જીંદગી સમર્પિત રહ્યા. પ્રેમજીબાપાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 12 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

બાપાએ આ રીતે કર્યું હરિયાળી ક્રાંતિનું સર્જન

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે 50000 કૂવા રિચાર્જ, કૂવા રિચાર્જ માટે 50,000 ફૂટ પાઇપનું વિતરણ
વહી જતું પાણી રોકવા 400 ચેકડેમ બનાવ્યા, 33 ટકા લોક ભાગીદારી સાથે 2000 ચેકડેમ
3000 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વિકસાવી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો