આ રીતે શાંતિલાલ પટેલ માંથી બન્યા પ્રમુખ સ્વામી મહારાજ

પ્રસ્તુત છે પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથા.

પ્રમુખસ્વામી ‘બાપા’ની જીવનઝરમર

– પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો.

– પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું.

– માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.

– 16 મે 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા.

– શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં.

– એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.

– ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમાં આધ્યાત્મિક વારસદાર.

પ્રમુખ સ્વામીનું સાધુ જીવન

– શાંતિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી’’

– અઢાર વર્ષના યુવાન શાંતિલાલે કવર ખોલી ચીઠ્ઠી વાંચી તો તેમાં લખ્યું હતું ‘‘સાધુ થવા આવી જાઓ’’

– શાંતિલાલ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું.

– આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે , કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તીભાઈને વિદાય દીધી…એ દિવસ હતો 7/11/1939

– 22-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી.

– 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડ્યું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.

– પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા

– વર્ષ 1950માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા.
– ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે.

– યુનોની ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે.

28 વર્ષની ઉંમરે સારંગપુરમાં કોઠારી સ્વામી તરીકે નિમાયા

BAPS તરીકે ઓળખાતી બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના આદ્ય સંસ્થાપક સાધુયજ્ઞપુરુષ દાસજી એટલે કે શાસ્ત્રી મહારાજ હતા તેમણે ઈ.સ. 1946માં આ યુવાન સ્વામીને 28 વર્ષની ઉંમરે સારંગપુર મંદિરમાં કોઠારી સ્વામી તરીકે નિમ્યા.

1950માં નારાયણ સ્વરૂપદાસજી બન્યા પ્રમુખ સ્વામી

21-05-1950ના દિવસે શાસ્ત્રીજી મહારાજે કદાચ એવા ભવ્યોદાત્ત ભવિષ્યને જોઈને જ આ નારાયણસ્વરૂપદાસજી મહારાજને BAPSના પ્રમુખ પદે નિયુક્ત કર્યા. તેમની સાથેના યોગીજી મહારાજની પણ પ્રસન્નતા જોડાયેલી હોવાથી તેમણે પ્રમુખ સ્વામીજી મહારાજનો 48મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો. આમ નારાયણ સ્વરૂપદાસજીનું ફરી એક નવું સ્વરૂપ સહજ રીતે જ સામે આવ્યું તે ‘પ્રમુખ સ્વામી મહારાજ’નું. પછી BAPS શાખાના પ્રમુખપદેથી ધાર્મિક, સામાજિક અને આરોગ્યલક્ષી અને સર્વાંગી વિકાસ સાધવામાં પ્રમુખ સ્વામીએ અનેક યોજનાઓ ભગવાન આજ્ઞા માનીને શરૂ કરાવી હતી.

BAPSએ 9/11ના સ્મારક માટે 1.5 કરોડ આપ્યા હતા

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય નાગરિકો સહિત હજારો લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં ગ્રાઉન્ડ સ્ટાફ પણ મૃત્યુ પામ્યો હતો. આ આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ગભરાટ અને આતંકવાદ પ્રત્યે ફિટકારની લાગણી પ્રસરી હતી. આ ઘટના બાદ બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકોએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે રાહત કામગીરી કરી હતી. આ આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં અમેરિકન સરકાર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર સ્મારક (મ્યુઝિયમ) બનાવવામાં આવ્યું છે.

કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ રાહત કેમ્પ શરૂ કર્યા હતા

આ સ્મારક બનાવવા માટે વિશ્વભરમાંથી કરોડો રૂપિયાનું દાન આવ્યું હતું. જેમાં બાપાના આદેશથી બીએપીએસ ચેરિટિ સંસ્થા દ્વારા ફાઉન્ડિંગ સ્પોન્સર્ડ લેવલમાં 2.5 લાખ યુએસ ડોલર એટલે કે 1.5 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજના સેવાભાવી અને ઉદાત્ત સ્વભાવને કારણે બીએપીએસ દ્વારા અનેક સેવાકાર્યો, રાહતકાર્યો અને બચાવકાર્યો કરવામાં આવ્યાં હતાં. કચ્છમાં આવેલા ભૂકંપ બાદ પણ પ્રમુખસ્વામીના આદેશ બાદ બીએપીએસના કાર્યકરો અને સ્વયંસેવકોએ કચ્છ જિલ્લાના ભુજ, રાપર સહિતના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તો માટે સહાયનો ધોધ વરસાવ્યો હતો. ઉપરાંત, મહિનાઓ સુધી રાહત છાવણી અને કૅમ્પનું આયોજન કરી અસરગ્રસ્તોને મદદ પૂરી પાડી હતી.

36,000 લોકોને વ્યસનમુક્તિ અભિયાનમાં જોડ્યાં

1000થી વધારે શિષ્યોએ ત્યાગાશ્રમની દિક્ષા લીધી. પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓ માટેની સુવિધા વિકસાવવામાં આવી હતી. 40 સામાજિક સેવાના સંકોલો ઉભા થયાં. 75 નુતન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું. સાત અત્યાધુનિક હોસ્પિટલો બનાવવામાં આવી. આદિવાસી વિકાસ માટે પ્રમુખ સ્વામીજીની કામગીરી એ માટે નોંધનીય છે કે જ્યારે આદિવાસી પ્રદેશોમાં આદિવાસીઓ ધર્મપરિવર્તન કરતા હતા અને તેની સામાજિક, આર્થિક, સ્વાસ્થ્યની પીડાને દૂર કરવા માટે કામગીરી હાથ ધરી હતી.

39 પ્રાકૃતિક આપત્તિ માટેના રાહત કાર્યો હાથ ધર્યા હતા. ધરતી કંપ વખતે 25 ધ્વસ્ત ગામને દત્તક લઈ તેનું પુનઃનિર્માણ કર્યું હતું. આદિવાસી પ્રદેશમાં 11 ફરતા દવાખાના શરૂ કર્યા છે અને 2000થી વધારે આદિવાસી ગામમાં નિઃશુક્લ સેવા આપવામાં આવે છે. 36000 લોકોને વ્યસનમુક્તિ અભિયાનમાં જોડી અને વ્યસનમુક્તિનું મહાન કાર્ય કર્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી