સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉજવાયો “પતંગોત્સવ”

તા.૧૪,રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉતરાયણ નિમિતે રાજકોટની સેવાભાવી સંસ્થા “સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકો સાથે પતંગોત્સવ ઉજવવાનું આયોજન કરી સામાજીક સેવામાં એક નવી જ પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલ તથા કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં જેમનું કોઈ નથી તેવા અનાથ માનસિક ક્ષતીવાળા બાળકો સાથે ઘણા-ખરા રાજકોટનાં પરિવારો વાર-તહેવારે ઉજવણી કરવા આવતા હોઈ છે ત્યારે આજે સવારે ૯ વાગ્યે ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલ તથા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનાં હસ્તે રંગબેરંગી બલુન આકાશમાં છુટા મૂકી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ઉતરાયણની થીમમાં તૈયાર થયેલા માનસિક ક્ષતીવાળા બાળકોએ હાજર લોકો સાથે પતંગ-બ્યુગલનો અનહદ આનંદ માણ્યો હતો.રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલા કેમ્પસને પતંગ-દોરાથી અવનવી થીમમાં સજાવ્યું હતું જે રસ્તા પરથી પસાર થતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું.

અહેવાલ – હાર્દિક સોરઠીયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર