પાસપોર્ટ કઢાવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે?

ફોરેન ડેસ્ટિનેશન ફરવા જવાનું ચલણ હમણાંથી વધ્યું છે. પોતાના સંબંધીઓને મળવા કે ફરવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ વિદેશપ્રવાસ કરતાં થયા છે. ફોરેન જવા માટે સૌથી પહેલા પાસપોર્ટની જરૂર પડે. પાસપોર્ટ કેવી રીતે કઢાવવો તે અંગે હજુ પણ ઘણા લોકો કન્ફ્યૂઝ હોય છે. ખાસ કરીને પાસપોર્ટ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તે અંગે ખૂબ કન્ફ્યૂઝન હોય છે. જો તમારી પાસે આધાર કાર્ડ હશે તો તમારે અન્ય બે જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે સરળતાથી પાસપોર્ટ કઢાવી શકશો.

આધાર ફરજિયાત: પાસપોર્ટ કઢાવવા માટે આધાર કાર્ડની ફરજિયાત જરૂર પડશે. જેમાં 12 ડિજિટનો આધાર નંબર અને 28 ડિજિટનો એનરોલમેન્ટ આઇડી સ્પષ્ટ દેખાવું જોઇએ. બાદમાં જ તમારી એપ્લિકેશન સ્વીકારવામાં આવશે.

માત્ર ત્રણ જ ડોક્યુમેન્ટ્સ અપાવી દેશે પાસપોર્ટ

અઠવાડિયામાં પાસપોર્ટ મેળવવા માટેઃ પાસપોર્ટ મેળવવા માટે જન્મનું પ્રમાણ પત્ર, ફોટો આઇડી અને એડ્રેસ પ્રૂફ એમ ત્રણ ડોક્યુમેન્ટની જરૂર પડે. બર્થ સર્ટિફિકેટ અથવા તમારું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ જન્મના પ્રમાણ પત્ર તરીકે ચાલશે. જ્યારે ફોટો આઇડી તરીકે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી અને આધાર કાર્ડ પણ માન્ય છે. એડ્રેસ પ્રૂફ તરીકે ઇનકમ ટેક્સ આઇડી, બેંક પાસબુક (ફોટોવાળી), વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ માન્ય છે.

ટૂંકમાં આધાર કાર્ડની સાથે ઉપર જણાવ્યાનુસાર બે અન્ય પ્રૂફ જોઇએ. પાસપોર્ટ જલદી નીકળે તે માટે જન્મ તારીખ અને નામ તમારા સ્કૂલ લિવિંગ કે જન્મના પ્રમાણપત્ર પર લખ્યું જે તેમ જ લખવું. તમે જે ડોક્યુમેન્ટને એડ્રેસ પ્રૂફ તરીકે દર્શાવવાના છો તેમાં જેવી રીતે એડ્રેસ લખ્યું છે તેવી જ રીતે એપ્લિકેશન કરતી વખતે જ એડ્રેસ લખવું.

પાસપોર્ટ કઢાવવાની ફીસઃ પાસપોર્ટ બનાવવાની સામાન્ય ફી 1500 રૂપિયા છે. જો તત્કાલ પાસપોર્ટ કઢાવવો હોય તો 2000 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવાના રહેશે. પાસપોર્ટ એપ્લિકેશન પછી પાસપોર્ટ ઓફિસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પોલીસ વેરિફિકેશનની કાર્યવાહી 3-4 દિવસમાં પૂર્ણ થઇ જાય છે. બાદમાં પાસપોર્ટ પ્રિન્ટિંગમાં જાય છે અને રજિસ્ટ્રી કરીને એપ્લિકન્ટને મોકલી દેવામાં આવે છે.

ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ હોય અને વેરિફિકેશન યોગ્ય રીતે થઇ જાય તો પાસપોર્ટ ઓફિસ દ્વારા સાત દિવસમાં જ પાસપોર્ટ પ્રિન્ટિંગ માટે આપવામાં આવે છે. જો ડોક્યુમેન્ટ્સ અને વેરિફિકેશન ડેટામાં કોઇ ભૂલ જણાય તો જ વાર લાગે છે.

સુધારો કેવી રીતે કરવોઃ જે લોકોએ પાસપોર્ટ બનાવી લીધો છે, પરંતુ કોઇ કારણોસર નામ, પિતાજીનું નામ અને બર્થ-ડેમાં કોઇ ભૂલ હોય તેવા લોકોએ સરકાર માન્ય સંસ્થાઓ તરફથી આપવામાં આવતા સર્ટિફિકેટની ફોટોકોપની સાથે એક સોગંદનામું આપવાનું રહેશે. સોગંદનામામાં ખોટો ડેટા, સાચો ડેટા અને થયેલી ભૂલ પાછળના કારણનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. ડોક્યુમેન્ટને વેરિફાય કર્યા પછી પાસપોર્ટ ઓફિસ તેને પોલીસને મોકલશે અને પોલીસના રિપોર્ટના આધારે જ સુધારો કરવામાં આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો