નવસારીના ચોવીસી ગામ નજીક આવેલ રામલામોરા વિસ્તારમાં પોતાની પાપલીલાનું ધામ બનાવી બેઠેલા વાસનાલોલુપ કહેવાતો ધર્મગુરુ જયેશ રમણ પટેલે ગણદેવીની મહિલા પર ઉપચારને બહાને બળાત્કાર ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર વિધવા મહિલાએ નવસારી જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી હતી. જેને પગલે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરતા લંપટ જયેશ બાપુની અટક કરી હતી.
ગણદેવી તાલુકામાં એક તાંત્રિકે બે સગીર બહેનોને પોતાના હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો ગણદેવી પોલીસ મથકના ચોપડે નોધાયો હતો. ત્યારે ચાર દિવસ બાદ વધુ એક કહેવાતા બાપુની કામલીલા પ્રકાશમાં આવી છે. જેમાં ભોગ બનનાર ગણદેવી તાલુકાના એક ગામમાં રહેતી ત્રણ સંતાનની માતા એવી વિધવા મહિલાએ ન્યાય માટે નવસારી જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી હતી.
જે ફરિયાદની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપાતા પોલીસે તુરંત હરકતમાં આવી હતી અને સૌપ્રથમ ભોગ બનનાર મહિલાનું નિવેદન લઈ રામલામોરા વિસ્તારમાં રહેતા અને સનાતન ધર્મના ધર્મગુરુ હોવાનું કહેતા જયેશ રમણ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો બાદ તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન મોડી રાત્રે લંપટ જયેશબાપુને પોલીસે શોધી કાઢ્યો હતો અને તેને તાબામાં લીધો હતો.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. પોતાની તબિયત ઘણા સમયથી સારી રહેતી ન હોઈ, કોઈકે નવસારી નજીકના રામલામોરા ગામમાં ભગત(બાપુ) તરીકે કામ કરતા જયેશભાઈ નામની વ્યક્તિનું સરનામું આપ્યું હતું. તેઓ પહેલીવાર આ ભગતને મળવા ગયાં હતાં, ત્યારે ફક્ત વાતચીત કરી હતી. બીજીવાર મળવા ગયાં ત્યારે દવા (જડીબુટ્ટી) આપી હતી અને પાછાં મળવા બોલાવ્યાં હતાં.
20મી ઓકટોબરે જયેશ બાપુના મંદિરે ત્રીજી વાર ગઈ હતી અને મંદિરમાં સવારે 10થી સાંજે 6 કલાક સુધી બેસાડી રાખી હતી. મંદિરમાં સાંજે કોઈ ન હતું ત્યારે મારી જોડે શારીરિક અડપલાં કર્યાં હતાં અને બાજુના ઘરમાં લઇ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું અને આની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ કિસ્સામાં ભોગ બનનાર મહિલાએ અન્ય મહિલાઓનું પણ શારીરિક શોષણ લંપટ બાપુએ કર્યું હોવાનું તેની લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું. જે બાબતને લઈ પોલીસ તે અંગે પણ વધુ તપાસ કરશે. છેલ્લી મળતી વિગતો મુજબ ચાલી રહેલ કોરોના મહામારીના પગલે નામદાર હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરી પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરશે.
ગણદેવી તાલુકાની મહિલાએ લેખિતમાં ફરિયાદ કરતાં જણાવ્યું છે કે તારે સારું થવું હોય અને દુ:ખ દૂર કરવું હોય તો તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે. બધા કિસ્સામાં હું દરેક આવનારી સ્ત્રીને આવું જ કરું છું. આવું કરવાથી દુઃખ મટી જાય છે. આવી ઘણી મહિલાઓ સાથે કહેવાતા બાપુએ બદકામ કર્યું હોઈ, એના વિશે તપાસ કરવા પોલીસને જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..