મણિબહેન પટેલઃ લોખંડી સરદારના લોખંડી પુત્રી

બાળપણ અને શિક્ષણ

કરમસદમાં જન્મેલાં મણિબહેન જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. ત્યાર બાદ કાકા વિઠ્ઠલભાઈ પટેલે તેમને ઉછેરીને મોટા કર્યા. તેમણે શરૂઆતનો અભ્યાસ મુંબઈની ક્વિન મેરી હાઈસ્કુલમાં કર્યો. એ પછી ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખ્યો. ઈ.સ. ૧૯૨૫માં તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાર બાદ તેઓ તેમના પિતાના કાર્યમાં મદદ કરવા લાગ્યા.

રાજકિય સક્રિયતા

બારડોલી સત્યાગ્રહમાં મણિબહેને મિઠુબેન પીટીટ અને ભક્તિબા દેસાઈ સાથે મળી સ્ત્રીઓને લડતમાં જોડાવા પ્રેરણા આપી. તેમના પ્રયત્નોને પરિણામે સ્ત્રીઓ આગળ આવી અને પુરુષો કરતાં પણ બહોળી સંખ્યામાં સત્યાગ્રહમાં જોડાઈ. એ દૃષ્ટિએ મણિબહેનનું પ્રદાન અનોખું ગણાય છે. બોરસદ, રાજકોટ સત્યાગ્રહ અને અસહકારની ચળવળમાં પણ મણિબહેને સક્રિય યોગદાન આપ્યું હતું.

સરદારના સૈનિક

આઝાદી પછી તરત સરદાર પટેલ વીલિનીકરણના ગૂંચવડામાં અટવાયેલા હતા ત્યારે મણિબહેને તેમની સંભાળમાં જ સમય સમર્પિત કર્યો હતો. સરદારની હયાતિમાં સક્રિય રાજનીતિથી દૂર રહેલાં મણિબહેન સરદારના અવસાન બાદ લોકસભા અને રાજ્યસભામાં સાંસદ તરીકે પણ કાર્યરત રહી ચૂક્યાં હતાં.

વણકહી વાત

પિતાની સેવામાં આજીવન સમર્પિત રહેલાં મણિબહેન સંગીતના પણ અચ્છા જાણકાર હતાં અને હાર્મોનિયમ, માઉથ ઓર્ગન જેવા વાજિંત્રો પણ સરસ રીતે વગાડી શકતાં હતાં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નો