ખેડૂતોના પ્રશ્નોને લઈને ધારાસભ્ય હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિધાનસભામાં ખેડૂતો માટે સમય નહીં આપવામાં આવે તો હું સત્ર નહીં ચાલવા દઉં’

આગામી વિધાનસભાના સત્ર (Vidhansabha Session)ને લઇને વિસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા (Congress MLA Harshad Ribadiya)એ વિધાનસભા (Gujarat Vidhansabha) અધ્યક્ષને ખાસ રજુઆત કરી છે. કૉંગ્રેસ ધારાસભ્યએ રાજ્યના ખેડૂતોના પાક વીમા, ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની વગેરે બાબતે ચર્ચા કરવા માટે વિશેષ બે કલાકનો સમય ફાળવવા માટે અધ્યક્ષને એક પત્ર લખીને રજુઆત કરી છે. સાથે સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો, સમય આપવામાં નહીં આવે તો તેઓ વિધાનસભાનું સત્ર નહીં ચાલવા દે.

આગામી તારીખ 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્યના ખેડૂતોના પ્રશ્નો, પાક વીમો તથા અતિભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાનીની ચર્ચા માટે વિધાનસભામાં બે કલાકનો સમય માંગતા વીસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પત્રમાં લખ્યું છે કે, “રાજ્યના ખેડૂતો વતી મારી રજુઆત છે કે ધોમધગતા તાપમાં ટાઢ તડકો વેઠી ઉઘાડા પગે ખેતી કરી ધાન પેદા કરીને આ રાષ્ટ્રના લોકોની જઠરાગ્નિ ઠારતા મારા ગરીબ ખેડૂત ભાઈઓ સાથે છેલ્લા ચાર વર્ષથી પાક વીમાના નામે છેતરપિંડી થાય છે. ખેડૂતોને વીમો મળતો નથી. આ બાબતે અમે ખૂબ આવેદનો આપ્યા, રેલીઓ કાઢી, અનેક આંદોલનો કર્યા પરંતુ રાજ્ય સરકારે પાક વીમા બાબતે કોઈ પણ રજુઆત ધ્યાને લીધી નથી.”

ધારાસભ્યએ પત્રમાં વધુમાં લખ્યું છે કે, “ચાલુ વર્ષમાં રાજ્યમાં અતિભારે વરસાદથી ખેડૂતોના ખેતર તથા તેમના ઉભા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. આ અંગે તેમને પૂરું વળતર મળે તેવી રાજ્યના ખેડૂતોની માંગ છે. વિધાનસભાનું ચોમાસું સત્ર તા. ૨૧/૯/૨૦૨૦થી શરૂ થાય છે, તેમાં ફક્ત બે કલાકનો સમય ખેડૂતોના આ બંને મુદ્દા માટે આપશ્રી દ્વારા ફાળવવામાં આવે તો રાજ્યના ખેડૂતોને ન્યાય અપાવવા માટે વિધાનસભામાં રાજ્ય સરકારને રજુઆત થઇ શકે. આપ સાહેબને રાજ્યના ખેડૂતો વતી મારી વિનંતી છે કે ઉપરોક્ત રજુઆત માટે મારી અરજ ધ્યાને લેવામાં આવે.”

આ સાથે જ તેમણે વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું છે કે, સરકાર વિધાનસભાના પ્રશ્નો સાંભળશે ત્યાર બાદ જ વિધાનસભા ચાલશે. જો અધ્યક્ષ તરફથી બે કલાકનો સમય ફાળવવામાં નહીં આવે તો હું વિધાનસભાનું સત્ર નહીં ચાલવા દઉં. ખેડૂતોના બે પ્રશ્ન 1) ચાર વર્ષથી તેમને પાક વીમો નથી મળ્યો. છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે તેની ચર્ચા થવી જોઇએ. 2) ચાલુ વર્ષે અતિભારે વરસાદ થયો છે ત્યારે જમીન અને પાકને ખૂબ નુકસાન થયું છે. આ મામલે જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ખૂબ ગોટાળા થયા છે. આ મામલે વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને ચર્ચા માટે બે કલાકનો સમય માંગ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો