હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે

નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યુ છે, ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં બોર્ડની પરીક્ષાને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર વિદ્યાર્થીઓ જાતે બદલી શક્શે. આ મહત્વના નિર્ણય બાદ અનિવાર્ય સંજોગોમાં વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે.

જાતે બદલી શક્શો પરીક્ષા કેન્દ્ર

દસમા અને 12માંની બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવવામાં આવતા હોય છે. ત્યારે હવે બોર્ડની સામાન્ય સભામાં લેવાયેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે. જો કે આ નિર્ણય પ્રમાણે ખાસ સંજોગોમાં જ વિદ્યાર્થીઓ પોતાનું પરીક્ષાનું કેન્દ્ર બદલવા માટે અરજી કરી શક્શે. જેમ કે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના વતનમાંથી પરીક્ષા આપી શકશે. જો વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રનું વાતાવરણ યોગ્ય નહી હોય તો નજીકના અન્ય પરીક્ષા કેન્દ્ર પરથી વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.

અન્ય મુદ્દાઓ પર પણ થઈ ચર્ચા

આ ઉપરાંત શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં અન્ય કેટલાક મુદ્દે પણ ચર્ચા કરીને મહત્વના નિર્ણય લેવાયા હતા. આ સભામાં ચર્ચા થયા બદા માન્યતા વગર ચાલતી શાળાઓના દુષણ પર રોક લગાવવા હવે બોર્ડ દ્વારા શાળાઓને નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. SSCના પરિણામ પહેલા કેટલીક નોન ગ્રાન્ટેડ શાળાઓ પ્રવેશ પરીક્ષા લઇ વિદ્યાર્થીઓને ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ આપતી હોય છે આવી પ્રવૃત્તિ અટકાવવા માટે પણ પગલાં લેવામાં આવશે. SSCના પરિણામ બાદ જ આગળના ધોરણમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય એવી નીતિ અપનાવવા પણ બોર્ડની બેઠકમાં વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચજો.

રાજકોટથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઈનડેડ યુવાનના હ્રદય, લીવર, કિડની અમદાવાદ પહોંચ્યા, 8 લોકોને મળશે નવુ જીવન

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો