કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે, મુખ્યમંત્રીના વડપણ હેઠળની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેની ચર્ચા શરૂ થઇ ગઇ છે, જેમાં પ્રાથમિક શાળાઓ અંગે હાલ કોઈ જ ચર્ચા-વિચારણા પણ સરકાર કરવા તૈયાર નથી.
ગુજરાત સરકારે જ કોરોનાને કારણે નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકીને પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો તહેવારોની ઉજવણી જ બંધ રાખવામાં આવી છે તો શાળા-કોલેજ શરૂ કરવાનો કોઈ પ્રયાસ સરકાર કરવા માગતી નથી, તેથી દિવાળી બાદ જ એ શરૂ થઈ શકે છે.
કેન્દ્ર સરકારે અનલોક-5માં તબક્કાવાર સ્કૂલ-કોલેજો શરૂ કરવાની છૂટ આપી છે. જોકે આ મામલે આખરી નિર્ણય લેવાની સત્તા રાજ્યોને જ આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં 15મી ઓક્ટોબરથી હજુ શાળા-કોલેજો શરૂ કરવામાં નહીં આવે. દિવાળી વેકેશન પછી જ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોને ખોલવાની વિચારણા છે. આ મામલે વિવિધ પાસાઓની વિચારણા તથા તજજ્ઞો સાથે બેઠકો કરાયા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે અને એને આધારે ગુજરાત સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે.
સૂત્રોના કહેવા પ્રમાણે, બુધવારે મંત્રીમંડળની બેઠકમાં પણ સ્કૂલ-કોલેજો ખોલવા વિશે ચર્ચા કરવામાં આવી હતી, ખાસ કરીને ગામડાં-નાનાં સેન્ટરોમાં ઓનલાઈન શિક્ષણમાં અનેક અડચણો આવે છે, એટલે શરૂઆતમાં અંતરિયાળ ગામોની સ્કૂલો ખોલવા વિશે ચર્ચા શરૂ થઈ હતી.
શિક્ષણ વિભાગનાં સૂત્રોએ કહ્યું હતું કે સ્કૂલ-સંચાલકો સહિતના વર્ગો સાથે આ મામલે ચર્ચા કરવામાં આવી હતી, જે લોકોએ પણ દિવાળી પછી જ સ્કૂલો શરૂ કરવાનો મત દર્શાવી રહ્યા છે. પ્રથમ તબક્કે ઉચ્ચ માધ્યમિક સ્કૂલો ખોલવામાં આવશે અને એનો સમય પણ બહુ ઓછો રાખવામાં આવશે. માધ્યમિક સ્કૂલોનો વારો બીજા તબક્કે લેવાશે અને એના માટે ખાસ તકેદારીની જોગવાઈ રખાશે. પ્રાથમિક સ્કૂલો ખોલવાની કોઇ વિચારણા જ નથી. કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી ગયા બાદ જ પ્રાથમિક સ્કૂલો ખૂલશે.
કેન્દ્ર સરકારની અનલોક-4ની માર્ગદર્શિકામાં શિક્ષણ-અભ્યાસક્રમ વિશે શંકા-સમજ માટે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવાની છૂટ આપવામાં આવી હતી. ગુજરાત સરકારે જોકે એનો અમલ કરવાનું ટાળ્યું હતું. છેલ્લા કેટલાક વખતથી સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવા વિશે સ્કૂલ-સંચાલકો, શિક્ષણવિદો, વાલીમંડળ વગેરે સાથે ચર્ચા કરી જ રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..