સૌરાષ્ટ્રમાં બટાકાની ખેતી કરવી પડકારજનક છે. ખેડૂતોનું માનવું છે કે બટાકા ડીસામાં જ પાકે, પરંતુ લેઈઝ-બાલાજી જેવી વેફરમાં વપરાતા ડીસાના પ્રચલિત બટાકાને ગોંડલના ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી પકવ્યા છે. ગોંડલના સુલતાનપુર જેવા નાનાએવા ગામના ખેડૂત તુલસીભાઈ અરજણભાઇ ગોંડલિયાએ ખોટી પાડી છે. તુલસીભાઇ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પરંપરાગત કપાસ, મગફળી, એરંડા, ધાણા, જીરું સહિતની ખેતી તો બધા ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ આ ગોંડલ મંદિરના સ્વામીના આગ્રહથી નવો વિચાર અમલમાં લાવ્યા હતા. એક વીઘામાં બટાકાની ખેતી કરવાનો પ્રયોગ કર્યો. આ પ્રયોગમાં સફળતા મેળવી છે. એક વીઘે 300 મણ બટાકાનું ઉત્પાદન થશે અને દોઢ લાખ રૂપિયાની કમાણીની આશા છે.
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા તુલસીભાઈએ ગોંડલ અક્ષર મંદિરના આરુણી ભગત સ્વામીના માર્ગદર્શનથી ડીસા વિસ્તારમાંથી બટાકાનું બિયારણ મેળવ્યું હતું. બાદમાં પોતાના વાડીના એક વીઘા જેટલા વિસ્તારમાં વાવેતર કર્યું હતું. બટાકાના વાવેતરના 80 દિવસ બાદ પાક ઉપર આવી ગયા છે. વીઘાએ 300 મણ બટાકાની ઊપજ થવાની આશા સેવી રહ્યા છે.
તુલસીભાઈએ જણાવ્યું હતું કે 50 રૂપિયાના કિલો લેખે 35 મણ બટાકાનું બિયારણ ખરીદ્યુ હતું, જેમાં મને 35000 જેવો ખર્ચ થયો હતો. વાવેતર બાદ દર પંદર-પંદર દિવસે વાવેતરમાં જીવાત ન થાય એ માટે ગાંગડા હિંગનું દ્રાવણ, ટપક પદ્ધતિથી ગૌમૂત્ર અને ખાટી છાશનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બટાકાના ત્રણ માસના વાવેતરથી આશરે રૂપિયા દોઢ લાખની આવકની આશા છે. આ વાવેતરના માર્ગદર્શન માટે અન્ય ખેડૂતોને આવકારી પણ રહ્યા છીએ.
તુલસીભાઇએ કહ્યું, પોતાના ખેતરમાં વાવેલા બટાકામાં 100 ગ્રામથી માંડી 500 ગ્રામ સુધી એક બટાકાનું વજન છે. ઓર્ગેનિક ખેતીથી પાકેલા બટાકાના સ્વાદમાં પણ વધારો જોવા મળ્યો છે. તુલસીભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે, પરંતુ સાથે એકાદ-બે વીઘામાં બટાકાનું વાવેતર કરે તો આર્થિક રીતે ફાયદો થાય તેમ છે. ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ પણ લાગતો નથી. મેં જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો બિલકુલ વપરાશ કર્યો નથી.
તુલસીભાઇએ જણાવ્યું હતું કે ગોંડલ અક્ષર સ્વામિનારાયણ મંદિરના આરુણી ભગતે મને ગત વર્ષે બટાકાની ખેતી કરવાનું કહ્યું હતું, પરંતુ સમયસર બિયારણ આવ્યું નહોતું, આથી આ વર્ષે સ્વામીને અગાઉથી જ કહી રાખ્યું હતું કે મને બટાકાનું બિયારણ સહિતનું માર્ગદર્શન આપજો, આથી તેમણે બટાકાનું બિયારણ મગાવવાથી લઈને દરેક તબક્કે માર્ગદર્શન આપ્યું હતું. કુપ્રી સોના નામનું બિયારણ છે અને એક વીઘામાં મેં વાવેતર કર્યું છે.
બટાકાનું વાવેતર કેવી રીતે કરવું એ અંગે સ્વામીજીએ ડીસાના ખેડૂતનો નંબર આપ્યો હતો, આથી ખેડૂતના માર્ગદર્શન અનુસાર બટાકાના બે ભાગ કરી પાળા પદ્ધતિથી વાવેતર કર્યું હતું. તુલસીભાઇએ જણાવ્યું હતું કે અમે બટાકાની ખેતી ગૌ આધારિત કરી છે. બટાકાની ખેતીમાં જીવાત ન આવે એ માટે ખાટી છાસ, ચણાનો લોટ, ગોળ, ગૌમૂત્ર અને હિંગના દ્રાવણનું મિશ્રણ કરી બે દિવસ સુધી રાખવામાં આવે છે. બાદમાં આ મિશ્રણનો 15-15 દિવસે છંટકાવ કરવામાં આવ્યો હતો. બટાકાનો પાક ત્રણ મહિનાની અંદર તૈયાર થઇ જાય છે.
બટાકાની ખેતી વિશે માર્ગદર્શન લેવા આવેલા ધુડશિયા ગામના અમરીશભાઇ ભૂવાએ જણાવ્યું હતું કે અમારા ગામની બાજુમાં તુલસીભાઇએ બટાકાનું વાવેતર કર્યું છે એ જોવા આવ્યો છું. તુલસીભાઇએ આ ખેતી કરી એમાંથી ખેડૂતોએ પ્રેરણા લેવા જેવી છે. દરેક ખેડૂતને અનુરોધ છે કે બટાકા વાવે અને નવું કંઇક કરે. સુલતાનપુર ગામના ખેડૂત જિતુભાઇ ગોંડલિયાએ જણાવ્યું હતું કે દરેક ખેડૂત ઓર્ગોનિક ખેતી કરે એ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ તુલસીભાઇએ કરેલી બટાકાની ખેતી છે. દરેક ખેડૂત આ રીતે ખેતી કરે તો આર્થિક ફાયદો થઇ શકે છે.
(અહેવાલઃ કમલેશ રાવરાણી, સુલતાનપુર)
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..