મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી, 12ના મોત; 40થી 50 લોકો ફસાયા, માનવસાંકળથી બચાવ કામગીરી થઈ રહી છે

મુંબઈના ડોંગરીમાં ટંડેલ ગલીમાં આવેલી 4 માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે.ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. જોકે મૃતક આંક વધવાની શક્યતા છે.

એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જેસીબી જેવા મશીન પણ આ ગલીમાં જઈ શકતા નથી. તેથી લોકોએ માનવસાંકળ બનાવીને રાહત કામગીરી શરૂ કરી છે.

મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 11.48 વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી.

એક પ્રત્યાદર્શીના જણાવ્યા પ્રમાણે આ બિલ્ડિંગ અંદાજે 80 વર્ષ જૂની છે. આ બિલ્ડિંગમાં 10 પરિવાર રહે છે અને જ્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થયું ત્યારે તેમાં અંદાજે 40-50 લોકો હતા.

મલાડમાં દિવાલ પડતા 13ના મોત થયા હતા

ભારે વરસાદથી મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રમાણેની દુર્ઘટના થઈ રહી છે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ મુંબઈના મલાડમાં 2 જુલાઈએ મોડી રાતે એક દિવાલ ધરાશાયી થવાના કારણે 13 લોકોના મોત થયા હતા.મલાડમાં પિંપરીપાડામાં આવેલી એક સ્કૂલની દિવાલ 2 જુલાઈએ રાતે એક વાગે બાજુમાં જ આવેલી ઝૂપડપટ્ટી પર દિવાલપડી હતી.

પુણેમાં ઝૂપડપટ્ટીપર દિવાલ પડતા 7ના મોત થયા હતા

જ્યારે પુણેમાં પણ એક દિવાલ પડવાના કારણે સાત લોકોના મોત થયા હતા.પુણેમાં પણ 2 જૂલાઈની રાતે જ સિંહગઢ કોલેજની દિવાલ તેને અડીને આવેલી ઝૂપડપટ્ટી પર પડી હતી. તેમાં સાત લોકોના મોત થયા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો