વડોદરાના અવનીબેને આર્કિટેકનો વ્યવસાય છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ કર્યું

વડોદરાની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 કિ.મી. દૂર દુમાડ ગામ પાસે ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કિમ પણ અમલમાં મૂકી છે. મહિલાના આ નવા આઇડિયામાં જોડાયેલા પરિવારો ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરીને પોતે ખેડૂત હોવાનો અનુભવ કરી રહ્યા છે.

લોકોને શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી મળે તેવો છે ઉદ્દેશ

વડોદરાની મહિલા અવની જૈને આર્કિટેકનો વ્યવસાય છોડીને ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી છે. તેમની દુમાડ ગામ પાસે 7 વીઘા જમીન આવેલી છે. તેઓએ છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. હાલ તેઓ પોતાના ખેતરમાં ટામેટા, ફ્લાવર, દૂધી, ગલકા, મરચા, બીટ, ગાજર, પાલક સહિત વિવિધ પ્રકારના શાકભાજી કરી રહ્યા છે. અને આ તાજા અને ઓર્ગેનિક શાકભાજી વડોદરા લાવીને તેનું વેચાણ કરે છે. તેઓનો ઓર્ગેનિક શાકભાજીના વેચાણમાંથી નફો મેળવવાનો આશય નથી, તેઓ બજારમાં વેચાતા અન્ય શાકભાજીના ભાવે જ શાકભાજી વેચે છે. તેમનો ઉદ્દેશ્ય લોકોને શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી મળે તેવો છે.

જે લોકો પાસે ખેતર નથી તેઓ પણ રેન્ટ પર પ્લોટ લઇને ખેતી કરે છે

અવની જૈને જણાવ્યું હતું કે, હું આર્કિટેક છું. પરંતુ, હું ખેડૂતની દીકરી હોવાથી ખેતી કરવી મને વધુ પસંદ હતી. જેથી મે છેલ્લા 10 વર્ષથી ખેતી કરવામાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. મારે પરંપરાગત ખેતી કરવી ન હતી. હું કંઇક નવું કરવા માંગતી હતી. તેના માટે મેં ઘણા પુસ્તકોનો અભ્યાસ પણ કર્યો છે. અને છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક શાકભાજી કરવાનું શરૂ કર્યું છે. જે લોકો ખેતી કરવા માંગે છે. પરંતુ, તેઓ પાસે ખેતર નથી. તેવા લોકોને પણ મારા જ ખેતરમાં 500 સ્ક્વેર ફૂટનો પ્લોટ 4 માસ માટે રેન્ટ ઉપર આપીને તેઓને શાકભાજીની ખેતી કરાવી રહી છું.

ખેતી કરાવતા પૂર્વે તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે

અવની જૈને વધુમાં જણાવ્યું હતું કે, રેન્ટ ઉપર જગ્યા લેનાર પરિવાર પોતાના પ્લોટમાં થનાર શાકભાજીના માલિક બને છે. શાકભાજીની ખેતી કરવા માટે ઇચ્છા ધરાવતા લોકોને શાકભાજીની ખેતી કરાવતા પૂર્વે તમામ પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે. અને તેઓને 15 દિવસે ખેતરમાં બોલાવીને શાકભાજીની કેવી રીતે માવજત થાય છે. તેની માહિતી આપવામાં આવે છે. તાલીમ લેનાર પરિવારો મારા ખેતરમાં રેન્ટનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે જગ્યા હોય તો તેઓ પોતાના ઘરે પણ શાકભાજી ઉગાડી શકે છે. અને શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી ઉપયોગમાં લઇ શકે છે.

મારા ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ કર્યું છેઃઅવની જૈન

અવની જૈને જણાવ્યું હતું કે, મારા ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ કર્યું છે. આ તાલીમ કેન્દ્રમાં સ્કૂલ-કોલેજના સ્ટુડન્ટ્સ પણ આવે છે. તેઓને પણ ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય છે. તેની તાલીમ આપવામાં આવે છે. તાલીમ લેનાર સ્ટુડન્ટ્સ પોતાના ઘરે ગાર્ડન હોય અથવા પોતાના ટેરેસ ઉપર ઓછી જગ્યામાં શાકભાજી ઉગાડી શકે છે. મારા ખેતરમાં રેન્ટ ઉપર ખેતી કરનાર પરિવારજનો શાકભાજીની ખેતી કરવા સાથે પ્રકૃતિનો પણ આનંદ મેળવી રહ્યા છે. આ સાથે તેઓ પોતાના ફાર્મ હાઉસમાં આવ્યા હોય, તેવો અહેસાસ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો