ગોવા ભૂલાવે તેવો છે ગુજરાતનો આ દરિયા કિનારો, વિદેશના બીચને પણ ટક્કર મારે એવો છે આ બીચ, જાણો ક્યાં આવેલો છે?

જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે.

ગોવાને ભૂલી જશો

પ્રવાસીઓને આકર્ષવા માટે પરફેક્ટ બીચ એટલે સમુદ્ર કિનારે સુંદર રેતી, શાંત ચોખ્ખો અને ખડક દરિયો પછી બીજુ શું જોઈએ. કોઈ આવું કહે એટલે તમને તરત થશે કે આ તો વિદેશ અથવા ગોવામાં જ શક્ય છે. પરંતુ જરા થોભો, આપણા ગુજરાતમાં પણ આવો જ દરિયા કિનારો છે. કેમ, ચોંકી ગયા? હા સાચે જ કોઈ વિદેશી બીચ જેટલો જ સુંદર અને મજાનો દરિયા કિનારો આવ્યા છે ગુજરાતના બે જાણિતા શહેરો સોમનાથ અને પોરબંદરની વચ્ચે માધવપુર પાસે.

દરિયે નહાવાની મજા તો અહીં આવશે…

માધવપુરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. દર વર્ષે ચૈત્રી નવરાત્રના રામનવમીથી અહીં માધવરાયજીના લગ્નનો ઉત્સવ ઉજવાય છે. હજારો લાખોની સંખ્યામાં લોકો અહીં આ દિવ્ય લગ્નોત્સવમાં સહભાગી થવા ઉમટી પડે છે. પરંતુ આ બધાથી અલગ માધવપુરનો દરિયા કિનારાને પણ પોતાનું આગવું આકર્ષણ છે. અહીંનો દરિયા શાંત અને પાણી ભૂરાશ પડતા રંગનું છે. તેમજ પાણી છીછરું હોવાના કારણે અહીં દરિયામાં નહાવાની પણ જબરજસ્ત મજા આવ છે. આ કારણે જ હવે અહીં ધીમે ધીમે બીચ પ્રવાસન ઉદ્યોગ વધી રહ્યો છે.

અફાટ દરિયો અને અમાપ લીલોતરી

સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે. જો તમે સોમનાથ દ્વારકા કે પોરબંદર તરફ પ્રવાસે ગયા હોય તો ચોક્કસ માધવપુર સ્ટોપ કરીને અહીંના દરિયા કિનારાને નિહાળવો જોઈએ બીજીવાર ગોવાનો પ્લાન કરતા પહેલા તમે માધવપુર વિશે વિચારી લેશો. આજે હવે આ રમણીય બીચ તેની સુંદરતાના કારણે ગુજરાતી અને હિંદી પિક્ચર, સિરિયલ, જાહેરાત અને ફીલ્મોનું પણ શૂટિંગ માટે પણ ધીમે ધીમે જાણિતો બની રહ્યો છે.

માધવપુરનું ઘેડનું ઐતિહાસિક મહત્વ

માધવપુર ઘેડ મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે.આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદીર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઇતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે. જો આપ પણ પોરબંદર આવેલા હોવ કે અહીં આસપાસ વસતા હોવ તો આપે પણ એક વાર માધવપુર બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો