મન હોય તો માળવે જવાય

આંધ્રપ્રદેશ રાજ્યના એક પછાત જિલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા ગોપાલક્રિષ્નનને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગોપાલક્રિષ્નનના માતા-પિતા ખેતરમાં મજૂરી કરવા જતા. એના ઘરમાં વીજળી પણ નહોતી. આવી પરિસ્થિતિમાં છોકરાની ઈચ્છા હોવાથી ગોપાલક્રિષ્નનને સરકારી શાળામાં ભણવા બેસાડ્યો.

10માં ધોરણના અભ્યાસ વખતે એ ઝાડ પરથી નીચે પટકાયો અને અપંગ બની ગયો. અપંગ ગોપાલક્રિષ્નને પોતાના પગ ઉપર જ ઉભા રહેવાંનો સંકલ્પ કર્યો. શિક્ષક બનવા માટેનો કોર્સ પૂરો કરીને એ સરકારી શાળામાં શિક્ષક બની ગયો. શાળામાં ભણવા આવતા પોતાના જેવા ગરીબ બાળકોને જોઈને આવા ગરીબ લોકો માટે કંઇક કરવાના ઈરાદાથી કલેકટર બનવાની યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું.

આ પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ કલાસનો સંપર્ક કર્યો તો કોચિંગ કલાસ વાળાએ ગોપાલક્રિષ્નનને ચોખ્ખું કહી દીધું કે તારી ક્ષમતા જોતા તું આ પરીક્ષા પાસ કરી શકે તેમ નથી. તને અંગ્રેજી પણ નથી આવડતું અને હિંદી પણ નથી આવડતું એટલે આ પરીક્ષા પાસ કરવી તારા માટે શક્ય જ નથી.

ગોપાલક્રિષ્નને આ વાતને ચેલેન્જ તરીકે સ્વીકારી. અંગ્રેજી અને હિંદી નહોતું આવડતું એટલે તેલુગુ ભાષામાં તૈયારી કરી પ્રાદેશિક ભાષામાં જ યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કરી તનતોડ મહેનત શરુ કરી.

ગરીબ પરિવારના આ અપંગ છોકરાએ મજબૂત મનોબળના સહારે દુનિયાની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી. ગોપાલક્રિષ્નને યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ત્રીજો નંબર મેળવી સાબિત કર્યું કે મન હોય તો માળવે જવાય.

શૈલેશભાઈ સગપરીયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો