સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના પાટીદારોનો સંકલ્પ, સાદાઈથી કરશે લગ્ન, વરઘોડો-ડીજે બંધ, નોકરી-ધંધો ના બગડે એટલે બેસણું રાત્રે

પરિવર્તનનો પવન હવે વર્ષોથી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના 15 લાખ પાટીદારોમાં પણ ફૂંકાઈ રહ્યો છે. તેમણે હવે જરીપુરાણા નિયમોને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજે રીતિરિવાજોને બદલીને સામાજિક સુધારની પહેલ કરી છે. આગામી દિવસોમાં તેની અસર દેશનાં 27 કરોડ પાટીદારો પર પણ જોવા મળશે. નવા નિયમોમાં લગ્નો સાદાઈથી કરવા, દીકરીઓને અભ્યાસ સહિતની બાબતોમાં પ્રોત્સાહિત કરવા તથા સ્વજનના દેહાવસાન બાદ બેસણું દિવસે નહીં પણ રાત્રે રાખવા જેવા સુધારાઓ સામેલ છે.

સમાજના ધનિક આગેવાને પોતાની પૌત્રીના સાદાઈથી કોર્ટ મેરેજ કરાવ્યા

પાટીદારોની સંસ્થા અખિલ ભારતીય કુરમી ક્ષત્રિય મહાસભાના ઉપ-પ્રમુખ રામજી ઇટાલિયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજે રિવાજોમાં ઘણા પરિવર્તન કર્યા છે. સાદાઈથી લગ્ન કરવાથી નાણા અને સમયની બચત થાય છે. લગ્ન યોજાય ત્યારે પહેલા જ બંને પક્ષો પાસેથી વરઘોડો કે ડીજે નહીં વગાડવામાં આવશે એવું સંમતિપત્ર લખાવી લેવામાં આવે છે. પાટીદાર સમાજના આગેવાન રામજી ઇટાલિયા પોતે ધામધૂમથી પૌત્રીના લગ્ન કરાવી શકે એમ હોવા છતાં તેમણે ગત 5 જુલાઇએ કોર્ટમાં સાદાઈથી લગ્ન કરાવ્યા હતા.

લગ્નપ્રસંગ : ખર્ચની રકમ વર-વધૂને મળશે

પાટીદાર સમાજના આગેવાનોએ છેલ્લા વીસ વર્ષમાં રિવાજોમા પરિવર્તન કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. હવે ઘણી બાબતોમાં તેમને સફળતા મળી ગઈ છે. ખાસ કરીને લગ્નમાં વરઘોડો નહીં કાઢવાનો તેમજ ડીજે નહીં વગાડવા પર દસેક વર્ષ પહેલા ભાર આપવામાં આવ્યો હતો. હવે તેમાં ઘણી સળફતા મળી ગઈ છે. વરઘોડો અને ડીજે નહીં વગાડવાથી અવાજ અને વાયુનું પ્રદૂષણ નહીં થાય, રસ્તા પર ટ્રાફિક જામ થતો નથી. તેનાથી રૂપિયા અને સમયની બચત થાય છે. તે રૂપિયા વર-‌વધૂને આપી દેવાય છે.

મરણપ્રસંગ : બેસણું રાત્રે 8 વાગ્યા પછી

સૌથી મોટું પરિવર્તન બેસણા બાબતે આવ્યું છે. પહેલા દિવસે બેસણું રાખવામાં આવતું હતું. દસેક વર્ષ પહેલા એવું નક્કી કરવામાં આવ્યું કે રાત્રે 8 વાગ્યા બાદ બેસણું રાખવામાં આવે. જેથી દિવસે કોઈ નોકરી પર હોય તો તેને રજા ન પાડવી પડે, કોઈનો ધંધો-વેપાર હોય તો વેપાર બંધ ન રાખવો પડે. રાત્રે 8 વાગ્યા બાદ બેસણું હોય તો કોઈને રજા ન પાડવી પડે કે વેપાર બંધ ન રાખ‌વો પડે. જેના ઘરે બેસણું હોય તેનો પણ આખો દિવસ બેસણામાં નહીં વપરાય.

દીકરી હવે ગૌરવ: દીકરીનો જન્મ હવે સમાજનો ઉત્સવ વિવિધ રાહતો અને સહાય રોકડે ચૂકવાશે

કન્યાઓની સંખ્યા વધે તે માટે બેટી બચાવો પર ભાર આપવામાં આવી રહ્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવ માટે યાત્રા કાઢવામાં આવી હતી. સુરતમાં પાટીદાર સમાજ દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં લોકો દીકરીને જન્મ આપે તો તેમને બોન્ડ આપીને પ્રોત્સાહન આપવામાં ‌આવે છે.કિરણ હોસ્પિટલમાં એક પણ દીકરો ન હોય અને પહેલી દીકરીને જન્મ આપવામાં આવે ત્યારે તેનો ખર્ચ લેવામાં આવતો નથી. બીજી પણ દીકરીનો જન્મ થાય અને મહિલા ઓપરેશન કરાવી લે તો બંને દીકરીઓને અઢી-અઢી લાખ રૂપિયા એમ કુલ પાંચ લાખ રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે. ડાયમન્ડ હોસ્પિટલમાં ડિલિવરીનો ચાર્જ 1800 રૂપિયા છે. જો દીકરીને જન્મ આપવામાં આવે તો તે 1800 રૂપિયા માફ કરવામાં આવે છે. તેમજ બીજી પણ દીકરીનો જન્મ થાય તો દીકરી પુખ્ત થાય ત્યારે તેને એક લાખ રૂપિયા આપવામાં આવે છે.

આવા ઉમદા વિચારોને વધુમાં વધુ લોકો સુધી પંહોચાડવા માટે શેર કરવાનું ભુલતા નહીં..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો