દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

સ્નેહા પટેલની કલમે..

ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ.

જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ મમત્વમાં આપણે જે કાયમ આપણી પાસે રહેવાનું હોય એને ‘ઘર કી મુર્ગી દાલ બરાબર ગણીએ’ એ વાત કેટલી ન્યાયપૂર્ણ ?

મને ખબર છે કે આટલો પેરા વાંચીને જ અનેકો લોકોના નાકના ટીચકાં ચડી જશે. સ્ત્રી –પુરુષોના ભેદભાવમાં બંધાયેલો આપણો સમાજ એક લિમીટથી આગળ જોઈ શકવાની કે વિચારવાની તસ્દી લેવા જ નથી માંગતો એ બાબતે મને બહુ નવાઈ લાગે છે.

હમણાં જો મેઁ અહીં દીકરી ઉપર લેખ લખ્યો હોત તો પ્રશંસાના ઢગલે ઢગલા થઈ જાત,

પણ ના…મારે દીકરા કે દીકરી કોઇ એકની તરફ્દારીમાં લેખ નથી લખવો.

આખો લેખ શાંતિથી ઉદારતાથી વંચાતો જશે એમ એમ ખ્યાલ આવતો જશે કે મેં આ લેખ આપણાં સંતાન ઉપર લખ્યો છે. એક નવા દ્રષ્ટીકોણ સાથે. આજે કદાચ આનો વિરોધ કરનારા લોકો પણ મનોમન આની પર વિચારશે તો જરુર એવો વિશ્વાસ છે.
સંતાનો તો આખરે સંતાનો જ છે. એ પછી છોકરો હોય કે છોકરી, એમના ઉછેરમાં ભેદભાવ રાખીને ઉછેરવાની આપણી સામાજિક કુપ્રથા કયારે બંધ થશે ?

છોકરો અને છોકરી બે ય પોતપોતાનામાં અતુલ્ય છે. કોઇ એક માનવીની બીજા માનવી સાથે તુલના કરવી એ જ ઘૃણાજનક વાત છે.

દરેક માનવીના ગુણ –અવગુણ અલગ અલગ હોય છે. એમાં છોકરો ને છોકરી જેવી જાતિ નજરમાં રાખીને નિર્ણય કેમ લેવાય છે એ જ મને સૌથી તકલીફ પહોંચાડે છે ! ‘તમારું સંતાન એટલે તમારું લોહી’ બસ એટલું જ કાફી નથી ?

હવે ,આ લેખની પહેલી લાઈન વાંચો. વારંવાર આ વાત દોહરાવાય છે. આજના જમાનામાં જ્યારે ‘એક દંપતિ અને એક સંતાનનું સૂત્ર’ અપનાવીને ચાલતું હોય ત્યારે એક માત્ર સંતાન છોકરો હોઈ શકે છે. (અહીં સ્ત્રીભ્રૂણ હત્યા જેવી બહુચર્ચિત વાતોથી મહેરબાની કરીનેદૂર રહેવું ) હવે એ દંપતિએ એમની આર્થિક, સામાજીક સ્થિતીને અનુરુપ એક જ સંતાનને જન્મ આપવાનું પસંદ કર્યુ હોય અને એને કોઇ આવીને કહે કે ‘જેણે બહુ પુણ્ય કર્યા હોય એવા નસીબદારને જ ભગવાન છોકરી આપે – કન્યાદાન તો સદભાગીના નસીબમાં જ હોય ‘ ત્યારે પેલા દંપતિના દિલમાં શું ભાવ આવશે એ વિચારો તો..શું અમારે સંતાનમાં છોકરો એટલે અમે કમનસીબ? અમે પ્રભુને પ્યારા નહીં હોઇએ ? અમારે બીજા સંતાન માટે પ્રયત્ન કરવો જોઇએ કે?

આ બધાથી ય ઉપર પેલું સંતાન –છોકરો ( છોકરો અને છોકરીની જાતિ છોડીને એક વિશાળ અર્થમાં એમને‘ સંતાન’ની જેમ લેતા આપણે કયારે શીખીશું?) સમજણો થયો હશે તો શું વિચારશે? નાનપણથી એ કાયમ એવી વાતો સાંભળતો હશેકે, ‘ મોટા થઈને એણે મા –બાપનો સહારો બનવાનો છે, એમને સાચવવાના છે, આવનારી પણ એનું માન સન્માન સાચવે એનું ધ્યાન રાખવાનું છે. જો ભગવાને પોતાને આ ઘરમાં જન્મ આપીને એના પાલનહારને દીકરીના વરદાનથી દૂર રાખ્યા છે તો પોતે પોતાના પાલનહાર માટે શ્રાપ છે કે ? જવાબદારીઓ પૂરી કરવા સાથે અપજશના ટોપલા પણ માથે લઈને ફરવાના !’

અહીં મુખ્ય ધ્યાન આપણે દીકરા કે દીકરી ના રાખતા એમના સંસ્કારો પ્રતિ કેમ નથી રાખતા ? દીકરીઓને પારકાનું ઘર પોતાનું કરવાની ટ્રેનિંગ અપાય છે એમ દીકરાઓને પારકીજણી પોતાનાઘરે આવે ત્યારે એને પોતીકી કરીને પોતાના કુંટુંબમાં દૂધમાં સાકરની જેમ કેમ ભેળવી દેવી એવી સમજણ કેમ ના અપાય?

ઘણાં ઘરડાં મા બાપ પોતાની દીકરીને પ્રેમથી સાસરે વળાવી દે છે અને પોતાની વહુઓની સાથે દુશ્મનો કે ન્નોકર જેવો વ્યવહાર કરે છે, વળી એ ગમે એટલી સેવા કરે તો પણ રહેવાની તો પારકી જણી જ !

જો દીકરી જાતિ માટે એટલો જ અહોભાવ હોય તો તમારે વહુ પણ કોઈની દીકરી છે એના માટે .’પોતાની જણી’ જેવી લાગણી કેમ ના ઉદભવી શકે ? દરેક વાતોના હક મારી મચડીને પોતાની બાજુ લેવાની વડીલોની આ રીત ક્યારે બદલાશે ?

થોડા સમય પહેલાં જ મારે સંબંધીની દીકરીના લગ્નપ્રસંગમાં જવાનું થયું હતું. ત્યાં કન્યાવિદાય વખતે આ ની આ જ વાતો…જેમને દીકરી હોય એમને જ આ પ્રસંગની કરુણતાનો ખ્યાલ આવે., દુ:ખના ખારા અને સુખના મીઠા આંસુડાના કોમ્બીનેશનનો સ્વાદ એમને જ ચાખવા મળે પણ જેમને છોકરો હોય એમને શું સમજાય આ બધું?

એ સમયે મને પ્રશ્ન થયો કે દીકરાને જન્મ આપનારી જનેતા જનેતા ના કહેવાય ? શું એ વહુ બનતા પહેલાં કોઇની દીકરી નહી રહી ચૂકી હોય ? એણે પોતાના લગ્નપ્રસંગે આવી તીવ્ર વેદના અને સુખીની લહેરોનો અનુભવ એકસાથે નહી કર્યો હોય ? અને જો એનો જવાબ હા હોય તો પછી એને કેમ એવું કહેવાય કે તમને આ વાત નહી સમજાય – રહેવા દો !

હકીકતે આપણે દીકરીઓની સલામતીને લઈને એટલા બધા લાગણીશીલ થઈ જઈએ છીએ કે એની પ્રસંશામાં, અછો અછો વાના કરવામાં એને વધારે પાંગળી બનાવી દઈએ છીએ. નાનપણથી જ એને આવનારા સુપરસોનિક જમાનામાં એના ભાગે આવનારી સહિયારી જવાબદારીના પાઠો ભણાવીને એને મજબૂત બનાવવાની છે નહીં કે નાની નાની વાતોમાં એની આંગળી પકડીને, સહારો આપી આપીને માયકાંગલી. બાપડી, બિચારી, પુરુષોની સાથે બરોબરી કરીને પોતાની જાતને પુરુષ સમોવડી બનાવવા જેવા શબ્દો – વાતોથી એને દૂર જ રાખો તો વધારે સારું.

એ જ વસ્તુ છોકરાઓના ઉછેરમાં પણ ધ્યાન રખાવી જોઇએ. સહિયારી જવાબદારીરુપે એના માથેઘરના કામકાજ રસોઇ, કચરા ,પોતા સાફસફાઈ જેવા કામ આવી શકે છે તો નાનપણથી જ એને સ્વનિર્ભર થવા સાથેસાથે આ બધા કામની નાનપમાંથી દૂર હટાવવાનો છે. દીકરી એટલે સાપનો ભારો જેવી બુધ્ધિના બીજા છેડાને પણ ના અડકતી હોય એવી વાહિયાત વાતો –માન્યતાઓની બને એટલી ત્વરાથી સમાજમાંથી નાબૂદી જરુરી છે.

દીકરો હોય કે દીકરી એ તમારું પોતીકું સંતાન છે. તમે એમાં તમારા વર્તનથી તમારા સંસ્કારો, વિચારો એનામાં આરોપવાના સંનિષ્ઠ પ્રયાસો કરો અને એને પોતાના વિચારો મુજબ જીવવા દેવાની છૂટ પણ આપો. જમાનો ગમે એટલો બદલાય પણ મા બાપની બે આંખની શરમ, પ્રેમ અને લાગણી હશે તો તમારું સંતાન તમારી સાથે અદ્રશ્ય રેશમી તાંતણે બંધાયેલુ જ રહેશે.

એ એની જાતે બંધાય એ વધુ મહત્વનું. બાકી એને જવાબદારીઓ –ફરજો સમજાવીને જબરદસ્તી બાંધવાનો પ્રયાસ કરશો હંમેશા નિષ્ફળ જશો. પારકાની દીકરીને પોતાની દીકરી સમજી એના મા બાપની તકલીફોમાં એને સાથ આપવા માટે પ્રેરણા આપતા રહો અને બની શકે તો તમે પોતેપણ તમારા વેવાઈ વેવાણના સંબંધોની વાડમાંથી વિસ્તરીને હમઉમ્ર મિત્રો બનીને રહો. પછી શું દીકરી ને શું દીકરો – શું પારકી જણી ને શું પારકી થાપણ ગણાતી પોતાની જણી..!

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો