સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર

રાજકોટ: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટુરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ દૂર કરી નાખ્યો છે. આ ઉપરાંત કોઈ ઓફરમાં કાશ્મીરની ટિકિટ ફ્રી હોય તો તેને પણ નહીં સ્વીકારવાનો નિર્ણય ટ્રાવેલ્સ, રેલવેના એજન્ટોએ નિર્ણય કર્યો છે.

સ્થાનિક એજન્ટોએ વાત કરવાની પણ ઘસીને ના પાડી

1.કાશ્મીરના ટુર એજન્ટોને જેવી જાણ થઈ કે, સૌરાષ્ટ્રના ટુર એજન્ટોએ આ પ્રકારનો નિર્ણય લીધો છે તેણે તરત જ સ્થાનિક એજન્ટોનો ફોન કરીને સંપર્ક સાધીને આજીજી કરી કે આવું ના કરો, અમારા પર વિશ્વાસ રાખો અમે ખાતરી આપીએ છીએ કે, સૌરાષ્ટ્રના સ્થાનિકોને પૂરતું રક્ષણ મળશે. તેને કશું જ નહીં થાય. પરંતુ સ્થાનિક એજન્ટોએ વાત કરવાની પણ ઘસીને ના પાડી દીધી. કહ્યું કે અમારે તમારી સાથે બિઝનેસ તો ઠીક વાત પણ નથી કરવી. નોંધનીય છે કે, એકલા માત્ર સૌરાષ્ટ્રથી જ કાશ્મીરને દર વર્ષે 300 કરોડનો બિઝનેસ મળે છે.

સૌરાષ્ટ્રના 170 ટ્રાવેલ્સ એજન્ટ અને રેલવે એજન્ટના 70 સભ્યોએ ટેકો જાહેર કર્યો

2.સૌરાષ્ટ્રના લોકો ઉનાળુ વેકેશન અને દરેક તહેવારની ઉજવણી કેરલા,કાશ્મીર ,કુલુ મનાલી, સિમલા સહિત ફરવાલાયક સ્થળે જઈને કરે છે.પુલવામામાં થયેલા હુમલા બાદ તો સૌરાષ્ટ્રના ટ્રાવેલ એજન્ટોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. તાત્કાલિક એક બેઠક બોલાવી જેમાં તમામ ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે હવે પાંચ વર્ષ સુધી એક પણ એજન્ટોએ કાશ્મીરની ટુર પેકજ બૂક કરવું નહિ. આ નિર્ણયને આવકારીને સૌરાષ્ટ્રના 170 ટ્રાવેલ્સ એજન્ટ અને રેલવે એજન્ટના 70 સભ્યોએ પોતાનો પૂરેપૂરો ટેકો જાહેર કર્યો.

  • કાશ્મીરના ટુર એજન્ટોની આજીજી, આવું ના કરો, સહેલાણીઓને સુરક્ષા મળશે
  • એજન્ટોએ ઘસીને ના પાડી દીધી કે વાત નથી કરવી અને ધંધો પણ નથી કરવો
  • દર વર્ષે થતો 300 કરોડનો બિઝનેસ ઠેબે મારી દીધો
  • એજન્ટોએ ફ્રી ટિકિટ સહિતના પેકેજ પણ ફગાવી દીધા

દેશના સૈનિકોથી વિશેષ કશું નથી

3.આ દેશના એક એક જવાનોની જિંદગી અમૂલ્ય છે તેના થકી જ દેશ ઉજળો છે. ભલે અમે ખોટ ખાઈશું પણ આપણા દેશના સૈનિકોની પડખે ઊભા રહ્યાનો અને તેની મદદ કર્યાનો આંનદ વિશેષ મળશે. જ્યાં સુધી આતંકવાદી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી એકપણ ટુર નહીં કરીએ. આ પ્રકારનો નિર્ણય એ પણ એક પ્રકારની દેશભકિત જ કહી શકાય.- અભિનવ પટેલ, સેક્રેટરી- સૌરાષ્ટ્ર ટ્રાવેલ એજન્ટ એસો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો