વડોદરા પાસે અકસ્માતથી આહીર સમાજના એક જ પરિવારના 5 સભ્યનાં મોત, એક મૃતક યુવકના લગ્ન આ વર્ષે જ થવાના હતા
વડોદરા પાસે નેશનલ હાઇવે પર સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેથી આહીર સમાજનાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મૃતકો પૈકી સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા એક જ જીંજાલા પરિવારના 5 સભ્યનો સમાવેશ થાય છે, જે પૈકી એક મૃતક યુવકની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાના હતા.
સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાંથી ઘર નંબર 38માંથી જીંઝાલા પરિવારના 9 જણા ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર આઈશર ટેમ્પોમાં રાત્રે નીકળ્યો હતો. દરમિયાન વડોદરા પાસે નેશનલ હાઇવે પર આઈશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેમાં આ જીંજાલા પરિવારમાંથી સુરેશ, દયાબેન, આરતી સહિત 5નાં મોત થયાં છે, જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતમાં ભોગ બનનારા પરિવારના પાડોશી કેશુભાઈએ જણાવ્યું હતું કે આ પરિવારના 9 સભ્યો ધાર્મિક પ્રવાસે આઈશર ટેમ્પોમાં રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા. પરિવારનાં ચાર બાળકો ગામડેથી સુરત દિવાળી કરવા માટે આવ્યાં હતાં. પરિવાર મંગળવારે સવારે કામરેજ હનુમાન મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાર બાદ રાત્રે ડાકોર, વડતાલ અને પાવાગઢ જવાનું હોવાથી રસોઈ બનાવી લઈ તમામ તૈયારીઓ કરી લીધી હતી. રાત્રે અકસ્માત થયો અને સવારે સમાચાર જોતાં જાણ થઈ હતી.
પાડોશી કેશુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હરેશભાઈ જીંજાલા અને બટુકભાઈ જીંજાલા સુરતમાં રહેતા હતા. જ્યારે અન્ય ત્રણ ભાઈ વતન રાજુલામાં રહેતા હતા. હરેશભાઈ સહિત પરિવારના તમામ સભ્યોનો સ્વભાવ ખૂબ જ સારો હતો. છેલ્લાં 20થી વધુ વર્ષથી અહીં રહે છે. સોસાયટીના તમામ સભ્યો સાથે પરિવારની જેમ જ રહેતો હતો. હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ રત્નકલાકાર હતો અને તેની સગાઈ થઈ ગઈ હતી. દિવાળી બાદ અટલે કે આ વર્ષે જ તેના લગ્ન થવાના હતા.
ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે આ લોકો મૂળ વતન રાજુલાની આસપાસનાં ગામોના વતની હતા. છેલ્લાં 20થી વધુ વર્ષથી સુરતમાં રહેતા હતા. તેઓ સુરતના પુણા ગામ પાસે આવેલી આશાનગરમાં રહેતા હતા. હીરા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોનાં મૃત્યુ થતાં સુરતના પુણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દિનેશ કિશન ભાઈ પાલીવાલે જણાવ્યું હતું કે મંગળવારની સાંજે હરેશભાઈ ટેમ્પો માટે આવ્યા હતા. કિશનભાઈ (પિતા) દેશમાં ગયા હતા. ત્યારે બીજી બાજુ પેસેન્જરમાં ટેમ્પો ચાલે એમ ન હતો એટલે ના પાડતાં સીતાનગર પાસે ટેમ્પો લેવા ગયા હતા. ત્યાર બાદ ચારેય બાળકો ઘર બહાર રમતાં હતાં. જોકે રાત્રે ટેમ્પો ભાડે કરી પ્રવાસે નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો હોવાની જાણ આજે સવારે થયા બાદ આખી સોસાયટી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી.
રાત્રે 3 વાગ્યાની આસપાસ અકસ્માત તથાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આઇશર ટેમ્પોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘટનાસ્થળે 9 લોકોનાં મોત થયાં હતાં અને 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. આમ અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
સવારે મળસ્કે 4 વાગે અકસ્માતની ઘટના બનતાં સમગ્ર નેશનલ હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘટનાસ્થળે 9 લોકોનાં મોત થયાં હતાં અને 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. આમ, અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળક સામેલ છે. હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
એક જ પરિવારના 5 મૃતકોનાં નામ
- દયા બટુકભાઈ જીંજાલા
- ભૌતિક ખોડાભાઈ જીંજાલા
- આરતી ખોડાભાઈ જીંજાલા
- હંસા ખોડાભાઈ જીંજાલા
- સુરેશ જેઠાભાઈ જીંજાલા
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

