સુરતની બ્રેનડેડ ખુશીએ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું

મોપેડના વૃક્ષ સાથે અકસ્માતમાં બ્રેન ડેડ જાહેર થયેલી 15 વર્ષિય કિશોરી ખુશી મહેશભાઈ દુધરેજીયાએ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેકાવી છે. ખુશીના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યમન દેશની 24 વર્ષીય યુવતીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

ટ્યુશનથી ઘરે આવતા મોપેડ વૃક્ષ સાથે અથડાતા બ્રેન ડેડ થઈ હતી

કામરેજ ખાતે આવેલા અમૃતવીલા રોહાઉસમાં ખુશી મહેશભાઈ દુધરેજીયા (ઉ.વ.15) પરિવાર સાથે રહેતી હતી. ગત 21 ડીસેમ્બરના રોજ ખુશી બપોરે 3:00 કલાકે ટ્યુશનથી ઘરે પરત આવી રહી હતી. દરમિયાન ઉંભેળ પાસે એક્ટીવા મોપેડ વૃક્ષ સાથે અથડાતા તેને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તે બેભાન થઇ ગઈ હતી. ત્યારબાદ ખુશીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સીટી સ્કેન કરાવતાં ખુશીના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. દરમિયાન 26 ડિસેમ્બરના રોજ ખુશીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી.

4, 10 વર્ષના બાળક અને 17 વર્ષના કિશોરને નવજીવન મળ્યું

ખુશી બ્રેન ડેડ જાહેર થતા ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી. ખુશીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, દીકરી અંગો થકી કોઈનામાં જીવીત અને તેને નવજીવન મળે તે માટે અંગદાન કરવા સંમતિ આપી હતી. જેથી કિડની અને લિવરનું દાન અમદાવાદની કિડની હોસ્પિટલ દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું. જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. બન્ને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 4 વર્ષ અને 10 વર્ષના બાળકોમાં તેમજ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ 17 વર્ષના કિશોરમાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી પાંચ લોકોને રોશની અને નવજીવન મળ્યું છે.

18 કિમીના માર્ગને ગ્રીનકોરીડોર કરાયો હતો

હૃદયના દાન માટે ગુજરાતની હોસ્પિટલમાં હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હતા. હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે B+ve બ્લડગ્રુપનું કોઈ ભારતીય દર્દી ન હોવાને કારણે NOTTO દ્વારા હૃદય મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ યમન દેશની 24 વર્ષિય યુવતીને ફાળવવામાં આવ્યું હતું. જેથી મુંબઈની ગ્લોબલ હોસ્પિટલની ટીમે હૃદયનું દાન સ્વિકાર્યું હતું અને સુરતથી મુંબઈ સુધીનું 291 કિમીનું અંતર 110 મિનિટમાં હોસ્પિટલ પહોંચાડ્યું હતું. ત્યારબાદ હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ હૃદય પહોંચાડવા માટે આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના 18 કિમીના માર્ગને ગ્રીનકોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર આપ્યો હતો.

સુરતમાંથી 25માં હૃદયનું દાન કરાયું

ગુજરાતમાંથી અત્યાર સુધી 31 હૃદયના દાન થયા છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ પચ્ચીસમી ઘટના છે. 19 હૃદય મુંબઈ, 3 હૃદય અમદાવાદ, 1 હૃદય ચેન્નઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો