વેરાવળ, તાલાળા, અમરેલી પંથકમાં કરા સાથે મુશળધાર વરસાદ, ખેતરોમાં ભરાયા પાણી, વૃક્ષો થયા ધરાશાયી, ખેડૂતોમાં ચિંતા

અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોએ લીધેલા મગફળીના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. તેમજ તાલાલા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. આ સિવાય તાલાલામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ અનેક જગ્યાએ ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા હતા.

હાલ મગફળીનો પાક પાકીને તૈયાર થઇ ગયો છે તેમજ કપાસનો પાક પણ હાલ લેવાઇ રહ્યો છે

અમરેલીના ઇશ્વરિયા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં પણ પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. મોટા લીલીયાના એકલેરા ગામે તેમજ આસપાસ ગ્રામ્યવિસ્તારમા પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. માવઠાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હાલ મગફળીનો પાક પાકીને તૈયાર થઇ ગયો છે તેમજ કપાસનો પાક પણ હાલ લેવાઇ રહ્યો છે. ત્યારે વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન થાય તેવી શક્યતાઓ છે.

ગીર સોમનાથના વેરાવળ અને તાલાળા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા કરા સાથે ભારે વરસાદ પડ્યો છે. ગીર-સોમનાથના તલાળા સહિત આસપાસના વિસ્તારોમાં માવઠુ થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. વેરાવળ તાલુકાના બાદલપરા, સોનારીયા સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. હાથમાં આવેલો પાક જ ધોવાઈ ગયો છે.

તાલાળાના ગ્રામ્ય પંથકો મા કમોસમી વરસાદ

ધામલવા, કોડીદ્રા, માથાસૂર્યા, માલજીનજવા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. મગફળી સહિતના પાકોને નુકશાન થયું છે. ખેડૂતોને પડયા માથે પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.


મગફળી અને કપાસના ખેતરોમાં પાણી ભરાયા

કમોસમે કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ થયો છે. એક તરફ વર્ષ માઠુ છે અને તેમાં પણ કરા સાથે વરસાદ પડતા પાકને મોટુ નુકસાન થયું છે. ખેડૂતો પાક લણવાની તૈયારીઓ કરતા હતા તે સમયે જ વરસાદ પડતા પાક ધૂળધાણી થયો છે.

કપાસ વીણવાની તૈયારી કરતો ખેડૂત હવે કપાસ પાણીમાં જવાથી દુખી છે. મગફળીના પાકનો પણ આવો જ ઘાટ છે. મગફળીના પાથરા ખેતરમાં પડ્યા છે, ત્યાં વરસાદ પડતા મગફળી પર પાણી ફરી વળ્યું છે, તો તુવરે સહિતના ઉભા પાક પણ જમીનદોસ્ત થઈ ગયા છે. જેના કારણે ખેડૂતોનું સંપૂર્ણ વર્ષ ફેઈલ થયું છે. ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ ઓછા વરસાદના કારણે ઓછો પાક થયો તેવામાં હવે પાક હાથમાં વતા-આવતા ફરી કુદરત છીનવી ગયો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો