મિશન ઈન્દ્રધનુષ: 5 વર્ષ સુધીનાં બાળકોને જીવલેણ રોગોથી બચાવવા માટે ફ્રીમાં કરવામાં આવે છે રસીકરણ

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ યોજના ચાલવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકનાં જન્મથી લઇને પાંચ વર્ષ સુધી અનેક પ્રકારની રસીઓ સરકાર તરફથી મફતમાં આપવામાં આવે છે. આ સમગ્ર રસીકરણ અભિયાન શહેરો, ગામડાંઓ, નગરો અને ટોળાઓમાં સામૂહિક રીતે ચલાવવામાં આવે છે. જે બાળક કોઈ કારણોસર રસીકરણ કરાવાથી ચૂકી ગયું હોય તેના માટે મધ્યગાળાનું રસીકરણ અભિયાન પણ ચલાવવામાં આવે છે. તેમાં 7 રોગો – ડિપ્થેરિયા, કાળી ઉધરસ, ટિટેનસ, બાળલકવો, ક્ષય, ખૂજલી અને હિપેટાઇટિસ-બી જેવા જીવલેણ રોગો સામે લડવા માટે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાત રોગો એવા છે જે બાળકોને સૌથી વધુ અસર કરે છે. જો બાળકોને સમયસર આ વેક્સિનેશન આપવામાં આવે તો તેમનું જીવન સુરક્ષિત કરી શકાય છે.

સમય પર રસીકરણથી મૃત્યુદરમાં ઘટાડો થયો

આ યોજના મેઘધનુષ્યના સાત રંગો દર્શાવે છે. તેથી અહીં સાત રંગોનો અર્થ સાત જીવલેણ રોગોથી બાળકને સુરક્ષિત કરવાનો છે. સમયસર રસી અપાવાથી બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. અત્યાર સુધી આ યોજનામાં ગર્ભવતી મહિલાઓને 20 લાખથી વધુ ધનુરની રસી આપવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત, 75 લાખ બાળકોને રસી આપવામાં આવી ચૂકી છે. 20 લાખ બાળકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. પીએમ મિશન ઈન્દ્રધનુષ અભિયાન યોજના 25 ડિસેમ્બર 2014ના રોજ દરેક વર્ગ અને દરેક સમુદાય માટે શરૂ કરવામાં આવી હતી. સરકારનો ધ્યેય વર્ષ 2020 સુધીમાં ‘સંપૂર્ણ રસીકરણ’ પ્રોગ્રામ પૂર્ણ કરવાનો છે. આ યોજના વિશે વધારે માહિતી નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઇને મેળવી શકાશે.

આ રીતે રસીકરણ થાય છે

જે દિવસે શહેરો, ગામડાંઓ અને નગરોમાં રસીકરણ થવાનું હોય એ દિવસે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નર્સ તમામ તૈયારીઓની ખાતરી કરે છે. જેવી તમને રસીકરણ વિશેની માહિતી મળે તો એ દિવસે તમારાં 5 વર્ષ સુધીનાં બાળકને ત્યાં લઈ જાઓ.

કેન્દ્ર પર રસી અપાવતા પહેલાં તમારે તેમને એ જણાવવાનું રહેશે કે અગાઉ બાળકને કઈ રસીઓ આપવામાં આવી છે. જો તમે ન જણાવી શકતા હો તો દરેક બાળકનાં નામનું એક કાર્ડ આરોગ્ય કર્મચારીઓ પાસે અને બીજું માતાને આપવામાં આવે છે. તેમાં તમામ માહિતી ભરવામાં આવે છે. તમે એ કાર્ડ કેન્દ્ર પર બતાવી શકો છો.

સલામતી ખાતર રસી માટે નર્સ દ્વારા એક જ સિરીંજનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિરીંજથી બીજા બાળકને રસી આપવામાં નથી આવતી. જો કોઈ કર્મચારી આવું કરે તો તમે વિરોધ કરો અને નવી સિરીંજનો ઉપયોગ ન થાય ત્યાં સુધી તમારા બાળકને રસી ન અપાવશો.

રસી મૂકાવ્યા પછી બાળકને અડધા કલાક માટે આરોગ્ય કર્મચારીની નજર સામે રાખવા જરૂરી છે. કારણ કે, રસી બાદ બાળકને થોડો તાવ આવે છે. અથવા બીજી કોઈ રીતે તેમનું આરોગ્ય વધુ ખરાબ થઈ શકે છે. તેની સારવાર માટે શું કરવું એ નર્સ જાણે છે. ત્યારબાદ જરૂરી સૂચના આપીને બાળકને તેની માતાને સોંપી દેવામાં આવે છે.

બાળકની સારવાર બાદ તેની માતાને મૌખિક રીતે સમજાવવામાં આવે છે કે આગામી રસી ક્યારે લગાવામાં આવશે. આ સાથે જ બાળકના રસીકરણ કાર્ડમાં પણ એ તારીખ નોંધવામાં આવે છે. અંતમાં વપરાયેલી બધી સોય અને સિરીંજનો સલામત રીતે નાશ કરવો જરૂરી છે.

વ્યાપક પ્રમાણમાં રોગનો ફેલાવો થતા અટકાવે છે

દર વર્ષે 5 લાખ બાળકો આ રોગોના કારણે મૃત્યુ પામે છે. આ રસીકરણ પ્રોગ્રામનો હેતુ સમય પર રસી આપીને બાળકોનું જીવન સુરક્ષિત કરવાનો છે. રસીકરણ રોગને વ્યાપકપણે ફેલાતા અટકાવે છે.

મિશન ઈન્દ્રધનુષ હેઠળ હેમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઇપ-બી (HIB) અને જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ (JE)ની રસી એ રાજ્યોમાં આપવામાં આવી છે, જ્યાં તેની અસર સૌથી વધારે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો