બે પુત્રીના પિતા પરેશ ધાનાણી છે સામાન્ય ખેડૂત: અમરેલીમાં ફરે છે એક્ટિવા પર, જાણો વિગત

અમરેલી: પરેશ ધાનાણીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. પરશે ધાનાણીએ 2000માં બી.કોમની ડિગ્રી મેળવી હતી જ્યારે તેમની પાસે કુલ રૂ. 1.15 કરોડથી વધુની સંપત્તિ છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીનો સમાવેશ થાય છે. તેમની સામે કુલ ચાર જેટલા કેસ પણ નોંધાયેલા છે.

પરેશ ધાનાણીના પિતાનું નામ ધીરજલાલ ધાનાણી છે જ્યારે પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે. પરેશ ધાનાણીને બે પુત્રીઓ છે જેમાં એકનું નામ સંસ્કૃતિ અને બીજી પુત્રીનું નામ પ્રણાલી છે. પરેશ ધાનાણી એક ખેડૂત પુત્ર છે. જેમને સારી રીતે ખેતી કરતાં પણ આવડે છે. જ્યારે પોતે દૂધ પણ દોવે છે. જ્યારે અમરેલીમાં નવરાશની પણોમાં તેઓ એક્ટિવા લઈને નીકળે છે.

પરેશ ધાનાણી પોતાના કોલેજ કાળથી જ રાજકારણમાં આવવાના સ્વપ્ન ધરાવતા હતા. ચુંટણીમાં તેઓ એકલા કોંગ્રેસના ઉમેદવારોની સ્લિપ વિતરણ કરવા જતા અને 25 વર્ષની ઉંમરે 2002માં તેમને પ્રથમ વખત વિધાનસભા ચુંટણીમાં ઝંપલાવ્યું હતું અને હાલના ભાજપના રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. એન.એસ.યુ.આઈ. યુથ કોંગ્રેસમાં સફળ જવાબદારી સંભાળ્‍યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય મંત્રી અને બિહારના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે.

2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 2012ની ચુંટણીમાં ફરી એકવાર પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને જબરદસ્ત કારમી હાર આપી હતી અને 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો.

પરેશ ધાનાણી ગ્રાઉન્ડ લેવલે લોકો સાથે જોડાયેલા નેતાની છાપ ધરાવે છે. સામાન્ય દીવસોમાં પોતે એકલા એક્ટિવા લઈને અમરેલીમાં ફરતા હોય છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય તેમ નજરે પડે છે. અમરેલીમાં આવેલા પુર વખતે 18 દિવસ સુધી સરકાર દ્વારા કોઈ પેકેજના મળતાં તેઓ ઉપવાસ પર ઉતર્યા હતાં. પોતે એકલા હાથે પુર પીડિતોને સહાય પહોંચાડવા લાગી ગયા હતા.

ગુજરાત વિધાનસભામાં વિરોધ કરતી વેળા સ્પિકરે તેમને સવાલો કરતા અટકાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભા ગૃહ બહાર જ ધરણા પર બેસી જઈને ગુજરાતના રાજકારણમાં અચરજ ઉભું કરીને તેઓ મોટા ગજાના નેતા બનવા તરફ પ્રયાણ કર્યું હતું.

પોતે વારવાર પોતાના ભાષણોમાં ખેડૂત પુત્ર તરીકેનો ઉલ્લેખ કરે છે અને કણમાંથી મણ કરીએ છીએ એમ કહેતા હોય છે. પરેશ ધાનાણી વિષે શક્તિ સિંહ ગોહિલે પણ કહ્યું હતું કે, પરેશ ધાનાણી દરેક મુદ્દાનું જ્ઞાન ધરાવે છે, યુવાન છે, ગ્રાઉન્ડ લેવલે જોડાયેલ છે એટલે નાના માણસોની તકલીફોથી વાકેફ છે. રાહુલ ગાંધી પણ જાહેર મંચ પરથી કહી ચુક્યા છે કે “પરેશ અચ્છા લડકા હૈ, વિશ્વાસુ હૈ, લોગો કી સેવા કરના ઉસકે દિલમે હૈ”. નરેન્દ્ર મોદી જ્યારે અમરેલી આવ્યા ત્યારે પરેશ ધાનાણીએ હેલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જે દેશભરમાં ખુબ ચર્ચાયું હતું.

અમરેલીમાં એરપોર્ટ શરૂ કરાવવામાં તેમનો સિંહફાળો રહેલો છે. અમરેલી એરપોર્ટ પરની પ્રથમ ઉડાનમાં પોતે મુસાફરી નહીં કરીને એક સામાન્ય ખેડૂતને મુસાફરી કરીને ખેડૂત નેતા હોવાનો દાખલો બેસાડ્યો હતો. અમરેલીમાં તળાવનો વિકાસ, માર્કેટ યાર્ડ વગેરે ઉભું કરવામાં તેમનો સિંહફાળો છે. સૌરાષ્ટ્રની 30 માંથી 23 બેઠકો કોંગ્રેસને અપાવવામાં તેમનો સિંહફાળો રહેલો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો