ફેફસાના દાનની ગુજરાતમાં આ સૌ પ્રથમ ઘટના, સુરતના બ્રેનડેડ વ્રજેશ શાહના ફેફસા, હ્રદય, કિડની અને લિવરએ પાંચ દર્દીને નવજીવન આપ્યું

સુરત: પાલનપુર કેનાલ રોડ પર રાજવર્લ્ડ પાસે આવેલ રાજહંસ વિંગ્સમાં રહેતા 42 વર્ષના વ્રજેશ નવિનચંદ્ર શાહ અડાજણમાં પ્યોર સ્કીલના નામથી આઈટી ટ્રેનિંગ એકેડમી ચલાવતા હતા. તા. 12મીને રવિવારના રોજ તેઓને માથું દુખવા સાથે બેચેનીની ફરિયાદ હતી તેમજ બ્લડ પ્રેસર વધી જતાં બપોરે યુનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓને રાત્રે 10.30ની આસપાસ ખેંચ આવતા બેભાન થઈ ગયા આથી તમામ રિર્પોટ કરાવતા સિટી સ્કેનમાં મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ બુધવાર તા. 15મીનાં રોજ વ્રજેશ શાહને તબીબોએ બ્રેનડેડ જાહેર કર્યા હતા.

આ બાબતની જાણ સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલા કરવામાં આવતા ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. ડોનેટ લાઈફની ટીમે વ્રજેશ શાહના પત્ની વૈશાલી, પુત્રી પંકિત, પિતા નવીનચંદ્ર, પિતરાઈ ભાઈ ડો. અનુજ, હિતેશ, સાળા હિરેન, ભત્રીજા પરિન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનથી લાચાર વ્યકિતઓને મળતાં નવજીવન વિશેની સમજ આપતા પરિવારે બ્રેનડેડ વ્રજેશ શાહના ફેફસા, હ્દય, કિડની, લિવર અને ચક્ષુઓનો દાન કરવાનો નિર્ણય કરીને સમાજમાં ક્યારેય ન ભૂલી શકાય તેવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૈષ્ણવ વણિક દશાલાડ સમાજના વ્રજેશ શાહના પરિવારમાં પત્ની, બે પુત્રીઓ અને માતા-પિતા છે.

પરિવારજનોની સંમતિ મળતા જ ડોનેટ લાઈફની ટીમ યુધ્ધના ધોરણે કામે લાગી ગઈ અને મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલના ડો. અન્વય મૂલે અને તેમની ટીમે સુરત આવી હ્દયનું દાન સ્વીકાર્યું.  ફેફસાનું દાન બેંગ્લોર બીજીએસ ગ્લોબલ હોસ્પિટલના ડો. પ્રેમાનંદ અને તેમની ટીમે આવીને સ્વીકાર્યું. કિડની અને લીવરનું દાન અમદાવાદની ઈન્સ્ટીટયૂટ ઓફ કિડની ડાયાલિસીસ અને રીસર્ચ સેન્ટરના ડો. વિકાસ પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું. જ્યારે ચક્ષુઓનું દાન સુરતની લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડો. પ્રફુલ્લ શિરોયાએ સ્વીકાર્યું.

અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયા વ્રજેશ શાહના સમગ્ર પરિવાર સહિત ન્યૂરોસર્જન ડો. ધવલ પટેલ, ફિઝિશિયન ડો. સી. ડી. લાલવાની, ચેસ્ટ ફિઝિશિયન અને ઈન્ટેન્ટસીવીસ્ટ ડો. સમીર ગામી અને ડો. ખુશ્બુ વઘાશિયા, યુનિક હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા, મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, પ્રોગ્રામ કોઓર્ડિટનેટર યોગેશ પ્રજાપતિ, જીતેન્દ્ર મોરે, મહેન્દ્રસિંહ ગોહિલ, અસ્ફાફ શેખ, મયુર પામક, અંકિત પટેલ, કરણ પટેલ અને સુભાષ રાવલના સહકારથી જ શક્ય બની હતી જ્યારે મુંબઈ અને બેંગ્લોર હ્દય અને ફેફસા પહોંચાડવા માટે યુનિક હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરિડોર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરનો સંપૂર્ણ સહકાર રહ્યો હતો.

અનેકને મળ્યું નવજીવન વ્રજેશ શાહના અંગદાનથી…

1.    સુરતની યુનિક હોસ્પિટલથી મુંબઈ, મુલંડમાં આવેલ ફોર્ટિસ હોસ્પિટલ સુધીનું 269 કિલોમીટરનું અંતર 90 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હ્દયનું  ટ્રાન્સપ્લાન્ટ ચીફ કાર્ડિયાક સર્જન ડો. અન્વય મુલે અને તેમની ટીમે સુરતના રહેવાસી પ્રકાશ શાંતિલાલ શાહ(ઉ. 44)ના દેહમાં સફળતાપૂર્વક કર્યું હતું.

2.    બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલના લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્રારા દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું  સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ 59 વર્ષના અશોક ચૌધરીના દેહમાં કરવામાં આવ્યું.

3.    દાનમાં મળેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના રહીશ યશપાલસિંહ કનકસિંહ માટીએડા( 20 વર્ષ) અને બીજી કિડની અમદાવાદના જ રહીશ કમલેશ નારણભાઈ સોલંકી ( ઉ. 28)માં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ.  જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ  ઊંઝાના રહેવાસી ઈન્દુબહેન દિનેશભાઈ પટેલ( ઉ. વર્ષ 47)માં કરવામાં આવ્યું. અમદાવાદની ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસિસ અને રીસર્ચ સેન્ટરમાં ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમે આ સર્જરી કરી હતી.

સુરતમાંથી હ્દય ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરવાની આ 22મી ઘટના

ડોનેટ લાઈફ દ્વારા સુરતમાંથી અત્યાર સુધી 16 હ્દય મુંબઈ,  3 અમદાવાદ, એક હ્દય ચેન્નાઈ, એક હ્દય ઈન્દોર અને એક હ્દય નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે. આમ સુરતમાંથી અત્યાર સુધી 22 હ્દય ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યા છે. જયારે ફેફસાના દાનની આ સૌ પ્રથમ ઘટના છે. જે માટે સુરતના વ્રજેશ શાહના પરિવારનું વિશાળ હિંમતભર્યા પગલાંને લાખ લાખ વંદન છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો