રાજકોટના પરિવારની કરૂણ ઘટના, આવો દિવસ કોઇને ન દેખાડો: રાજકોટમાં કોરોનાએ માતા-પુત્રનો ભોગ લીધો, સારવારમાં રહેલી 9 વર્ષની દીકરીને ખબર નથી કે પપ્પા અને દાદી આ દુનિયામાં નથી!
કોરોનાની બીજી લહેરે કેટલાય પરિવારના માળા વીંખી નાખ્યા છે. કોરોનાના અજગર ભરડામાં અનેક પરિવાર આવ્યા છે. ત્યારે રાજકોટના રાયચુરા પરિવારમાં કોરોના કાળ બની ત્રાટક્યો અને માતા-પુત્રનો ભોગ લઇ લીધો છે. 9 વર્ષની દીકીરી પણ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ આ દીકરીને ખબર નથી કે મારા પપ્પા અને દાદી આ દુનિયામાં નથી. ચાર સભ્યોના ખુશખુશાલ પરિવાર પર કોરોનારૂપી રાક્ષસે કાળચક્ર ફેરવ્યું અને બે સભ્યોનો ભોગ લઇ લીધો છે. આ કરૂણ ઘટના રાજકોટના મનિષભાઇ રાયચુરા પરિવારમાં બની ગઇ છે. જેમાં મનિષભાઇ ખુદ અને તેના માતા મીનાબેનનું કોરોનાના કારણે અવસાન થયું છે. મનિષભાઇની દીકરી ક્રિના 9 વર્ષની છે અને કોરોનાની સારવાર હેઠળ તેને ખબર નથી કે પપ્પા અને દાદી દુનિયામાં નથી.
રાજકોટના રાયચુરા પરિવારની કરૂણ ઘટના
6 એપ્રિલના રોજ મનિષભાઇ રાયચુરાની અચાનક તબિયત ખરાબ થઇ જતા તેને ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. અહીં તેનું ઓક્સિજન લેવલ 93 આવ્યું હતું. આથી સિવિલના ડોક્ટરે તેને ઘરે જ આઇસોલેટ થવા સલાહ આપી હતી. આથી તેઓ ઘરે આઇસોલેટ થયા હતા. બાદમાં 6 તે જ દિવસે તેની 9 વર્ષની દીકરી ક્રિનાની તબિયત અચાનક લથડી હતી. આથી તેને હોસ્પિટલમાં દાખલ થવાની ડોક્ટરે સલાહ આપી હતી. આથી મનિષભાઇએ તેના મિત્રને ફોન કરી દીકરીને હોસ્પિટલે લઇ જવા જણાવ્યું હતું. મિત્રએ શહેરની સતનામ હોસ્પિટલ, સેલસ હોસ્પિટલ, જેનિસ હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ તથા અન્ય ઘણી હોસ્પિટલ નો સંપર્ક કર્યો પણ ક્યાંય નાના બાળકને કોરોના હોય તો એડમીટ કરતા નથી તેવું જાણવા મળ્યું. બાદમાં સિવિલ હોસ્પિટલમાં ગયા અને દીકરીને ત્યાં એડમીટ કરી.
રાત્રે 3 વાગ્યે મનિષભાઇને સિવિલ હોસ્પિટલ ખસેડાયા
આ જ દિવસે મોડી રાત્રે 3 વાગ્યે મનીષભાઈ રાયચુરાને શ્વાસ લેવાતો ન હોવાથી મિત્રને ફોન કરી ઘરે બોલાવ્યા હતા. બાદમાં મનિષભાઇને 108 મારફત સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. અહીં ઈમરજન્સી વોર્ડમાં મનિષભાઇને પાંચ વાગ્યા સુધી રાખ્યા હતા. બે કલાક દરમિયાન ત્યાં કહેવામાં આવ્યું કે એક પણ બેડ ખાલી નથી. અંતે 5 વાગ્યે તેમને એડમીટ કર્યા હતા.. બાદમાં 8 એપ્રિલના મનીષભાઈ રાયચુરાના માતા મીનાબેનની તબિયત લથડતાં સમરસ હોસ્ટેલમાંથી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક એડમીટ કર્યા હતા. અહીં તેને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા. અહીંયા સુધી હજી કરૂણતા બાકી હતી તો એ જ દિવસે રાત્રે 3 વાગે ડોક્ટરે કહ્યું કે મનીષભાઈ રાયચુરાની દીકરી ક્રિનાને રેમડેસિવિર ઈન્જેકશન આપવા પડશે બીજો કોઈ ઉપાય નથી. નાની ઉંમર હોવાથી એમની કીડની અને લીવરને અસર થાય તો હોસ્પિટલની કોઈ જાતની જવાબદારી રહેશે નહીં. એવું લખાણ કરી સહી કરાવી હતી. દીકરીને 90 ટકા ફેફસાં ભરાય ગયા હતા. રેમડેસિવિર ઇન્જેક્શન બે દિવસ આપ્યા પછી એને કોઈ આડઅસર ન થવાથી આખો પરિવાર ખુશ થવા લાગ્યો હતો.
12 એપ્રિલના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યે માતાનું અવસાન
બાદમાં અચાનક જ રાયચુરા પરિવારમાં કાળો કેર આવ્યો. 11 એપ્રિલના રોજ અચાનક મનીષભાઈ રાયચુરાની તબિયત લથડતાં એમને કોવિડ વિભાગ 5 માળે વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા. ત્યાં તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. એટલેથી વાત પુરી ન થતા 12 એપ્રિલના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યે સિવિલ હોસ્પિટલેથી કોલ આવ્યો કે મનીષભાઈ રાયચુરાના માતા મીનાબેન રાયચુરાનું અવસાન થઈ ગયું છે. પરિવારની એવી ઇચ્છા હતી કે મનીષભાઈ વેન્ટિલેટર પર હોવાથી એમના માતાનું અવસાન થયું એ જાણ નથી કરવી.
પરંતુ સવારે 9 વાગ્યા આસપાસ આરએમસીમાંથી મનીષભાઈ રાયચુરાના મોબાઈલમાં કોલ ગયો કે તમારા માતા મીનાબેનનો અવસાન થઈ ગયું છે. આ સાંભળી મનીષભાઈ રાયચુરા જે વેન્ટિલેટરમાં હતા એ ખૂબ જ ટેન્શનમાં આવી જતાં. બધાંએ એમના મોબાઈલમાંથી કોલ કરવા લાગ્યા કે સાચે મારા માતાનું અવસાન થઈ ગયું. એટલા બધા હેબતાય ગયા હતા કે એમનું ઓક્સિજન ડાઉન થવા લાગ્યું. પરિવારના બધા સભ્યો મીનાબેનની અંતિમવિધિ કરવામાં વ્યસ્ત હતા. એ વિધિ પૂરી થઈ કે તરત 13 એપ્રિલના રોજ વહેલી સવારે 4 વાગ્યે હોસ્પિટલથી કોલ આવ્યો કે મનીષભાઈ રાયચુરાનું અવસાન થઈ ગયું છે. માતાની ચિતા ઠંડી પડી નહોતી ત્યાં પુત્રને કોરોના ભરખી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ થઇ ગયો હતો.
રાયચુરા પરિવારમાં ચાર સભ્યોમાં મીનાબેન રાયચુરા (મનીષભાઈના માતા), મનીષભાઈ રાયચુરા, તેમની પત્ની પુનમબેન મનીષભાઈ રાયચુરા અને પુત્રી ક્રિના રાયચુરાનો સમાવેશ થાય છે. આ ચાર સભ્યોના પરિવારમાં મનિષભાઇ અને તેમના માતા મીનાબેનનું કોરોનામાં મોત થયું છે. હવે માતા અને પુત્રી જ પરિવારમાં બચ્યા છે. આમ કોરોનારૂપી રાક્ષસે રાયચુરા પરિવારને વિખેરી નાખ્યો છે. ઘરમાં ફક્ત માતા પુનમબેન રાયચુરા અને એમની દીકરી ક્રિના રાયચુરા રહ્યાં છે. પુનમબેને એમના સાસુની અને પતિની છત્રછાયા ગુમાવી તો એમની દીકરીએ દાદીમાં અને પિતાની છત્ર છાયા ગુમાવી છે.. આજ દિવસ સુધી હજી પણ દીકરીને ખબર નથી કે એમના પિતા આ દુનિયામાં નથી. એ દીકરી તો હજી એમ જ કહે છે કે મારે હોસ્પિટલથી તરત જ નીકળીને મારા પિતાને ગળે મળવું છે. હાલ ક્રિના રાયચુરાની તબિયત સારી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..