મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, જમ્મૂ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવાઈ, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા

રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. આમ હવે લદ્દાખઅલગ રાજ્ય બનશે. આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરથી અલગ થયું લદ્દાખ, મળ્યો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો

નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું છે. તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમિત શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની ઘણાં સમયથી માંગણી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેનારા લોકો તેમના લક્ષ્યને મેળવી શકે. રિપોર્ટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભા હશે.

રાજ્યસભા અપડેટ્સ

  • બહુજન સમાજવાદી પાર્ટીએ મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું.
  • જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે. તે સાથે જ લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું છે.
  • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે બંને કેન્દ્ર શાસિત રાજ્ય બનશે.
  • અમિત શાહની જાહેરાત પછી વિપક્ષનો હોબાળો
  • પીડીપી સાંસદે રાજ્યસભામાં તેમના કપડાં ફાડીને વિરોધ નોંધાવ્યો.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કાશ્મીરમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. રાજ્યમાં ઘણી જગ્યાએ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. સરકારે આ વિશે ચર્ચા કરવી જોઈએ. આ વિશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હું દરેક વાત વિશે ચર્ચા કરવા માટે તૈયાર છું. કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે 12 વાગ્યાથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મહેબૂબા મુફ્તી, ઓમર અને ફારુક અબ્દુલા સહિત ઘણાં નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે.

આજે સવારથી દિલ્હીમાં મીટિંગોનોમાહોલ

જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને ઘણાં રાજકીય નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે પહેલાં વડાપ્રધાને અમિત શાહ અને અજીત ડોભાલ સાથે બેઠક કરી હતી અને ત્યારપછી કેબિનેટ બેઠક કરવામાં આવી હતી. આ સમયે સંસદમાં પણ કાશ્મીર મુદ્દે હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષના ઘણાં નેતાઓએ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. આજે સમગ્ર દેશની નજર કબિનેટ બેઠક પર રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ બંને સદનમાં કાશ્મીર મુદ્દે નિવેદન આપવાના છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ અમિત શાહ કાશ્મીર મુદ્દે નિવેદન આપશે. અમિત શાહ લોકસભામાં 12 વાગે કાશ્મીર મુદ્દે નિવેદન આપવાના છે. આ સાથે જ આજે રાજ્યસભામા જમ્મુ-કાશ્મીર અનામત બિલ પણ રજૂ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર અનામત બિલ આજે રાજ્યસભામાં રજૂ કરાશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાં આર્થિક પછાત વર્ગો માટે 10 ટકા અનામત સંબંધિત બિલ રજૂ કરશે. આ બિલ 28 જૂને લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અનામત સુધારમા બિલ 2019માં કાશ્મીરમાં સીમા વિસ્તારોના નાગરિકોને ખાસ અનામત આપવાની જોગવાઈ સામેલ કરી છે. જેથી તેમને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે બરાબરીનો મોકો મળી શકે.

લોકસભામાં શાહે કહ્યું હતું કે, અમે અનામત કાયદા સુધારણા બિલ અંતર્ગત રાજ્યના નબળાસ પછાત વર્ગ અને આંતરરાષ્ટ્રીય સીમાની નજીક રહેતા લોકોને શરૂઆતથી જ અનામત આપવાની જોગવાઈ કરી છે. એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા લોકોને શેલ્ટર હોમમાં રહેવું પડે છે. ઘણાં દિવસો સુધી બાળકોને અહીં રહેવું પડે છે. સ્કૂલો બંધ રહે છે, તેમના અભ્યાસને અસર થાય છે. તેથી તેમને અનામત આપવામાં આવી રહી છે. તેનાથી જમ્મુ-કાશ્મીરના સાડા ત્રણ લાખ બાળકોને ફાયદો થશે. અનામતનો આ પ્રસ્તાવ કોઈને ખુશ કરવા માટે નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે રહેતા લોકોના હિત માટે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો