સમાજ સેવાનું અનોખું ઉદાહરણ: જૂનાગઢમાં મિલ્કમેન દ્વારા ચાલતી ગરીબો માટેની મિલ્કબેન્ક, દરરોજ 25 લિટરથી વધુ દૂધનું થાય છે નિઃશુલ્ક વિતરણ

આપણાં સમાજમાં અનેક એવી સમાજ સેવી સંસ્થાઓ અને સમાજ સેવી વ્યક્તિઓને આપણે સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ કરતાં જોયા હશે! પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિથી વાકેફ કરાવીશું, જે જૂનાગઢમાં છેલ્લાં 13 વર્ષથી જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે દૂધ એકત્ર કરીને તેઓના ઘર સુધી પહોંચાડીને સમાજસેવાનું એક અનોખું ઉદાહરણ બન્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગરીબોના મિલ્કમેન તરીકે ઓળખાતા આ વ્યક્તિ કોણ છે?
જૂનાગઢના રસ્તે તમે નીકળો એટલે ક્યાંક’ને ક્યાંક તમને આ સેવાભાવી વ્યક્તિનો ભેટો થઈ જ જાય! ગરીબોના મિલ્કમેન તરીકે ઓળખાતા આ સિનિયર સીટીઝન પોતાની ઓળખ ‘ઓન્લી ઇન્ડિયન’ એવી બતાવે છે. તેઓ જૂનાગઢના ‘વન મેન એનજીઓ’ છે, દેશ સેવાની ભાવના ધરાવતા લોકોનો સાથ-સહકાર મળતા, તેઓ એકલાં હાથે જ સમાજ સેવા કરીને, સમાજ સેવાનું એક અનોખું ઉદાહરણ બન્યાં છે.

ઓન્લી ઇન્ડિયન દ્વારા ચાલતી મિલ્કબેન્કની ખાસિયત
ગરીબો માટે દૂધ એકત્ર કરવા માટે ઓન્લી ઇન્ડિયન દ્વારા વર્ષ 2013 માં મિલ્કબેન્ક ની શરૂઆત કરવામાં આવી, જે અંતર્ગત તેઓ દર શ્રાવણ માસમાં સવારથી જ જૂનાગઢના વિવિધ શિવાલયોમાં એક મિલ્કકેન મૂકી આવે છે. ભગવાન શિવજીને દૂધનો અભિષેક કરવા આવતા લોકો શિવજીને થોડું દૂધ અર્પણ કર્યા બાદ, વધતું દૂધ ઓન્લી ઇન્ડિયનની આ મિલ્ક બેંકમાં પધરાવે છે. ઓન્લી ઇન્ડિયન બપોરના સમયે જે તે શિવાલયમાં જઈ આ મિલ્કબેન્કમાં ભેગું થયેલું દૂધ એકત્ર કરી, ગરમ કરીને તેને ગરીબોમાં વિતરણ કરીને અનોખી સમાજસેવા કરી રહ્યાં છે.

ઓન્લી ઇન્ડિયનની મિલ્ક બેંકમાં શિવભક્તો સ્વૈચ્છિક રીતે દૂધ પધરાવે છે
ઓન્લી ઇન્ડિયન દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને દૂધનો અભિષેક કરવા આવતાં ભાવિકોને એક બેનર લગાવી પરોક્ષ રીતે એક વિનંતી કરવામાં આવે છે કે, શ્રદ્ધારૂપે થોડું દૂધ શિવજીને ચડાવ્યા બાદ બાકી વધતું દૂધ મિલ્ક બેંકમાં જમા કરવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. શિવાલયમાં દર્શનાર્થે આવતા ભાવિકો ઓન્લી ઇન્ડિયન ની આ વિનંતી સ્વીકારી શિવાલયમાં મુકવામાં આવેલી મિલ્ક બેંકમાં સ્વૈચ્છિક રીતે દૂધ પધરાવી એક અનોખું પૂણ્યનું કામ કરે છે.

ઓન્લી ઇન્ડિયન દ્વારા થતી આ સેવા પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય
શિવાલયમાં શિવજી ઉપર અભિષેક કરતાં બાકી વધતું દૂધ ગરીબ બાળકો, વૃદ્ધો, સગર્ભા કે અબોલ જીવની આંતરડી ઠારે તો એમાં શિવજી પણ પ્રસન્ન થાય જ! માટે શિવાલયમાં ચડતું બધું દૂધ ખાળ-ગટરમાં વહી જાય એના બદલે મિલ્ક બેંકમાં જમા થાય તો, કોઈ જરૂરિયાતમંદનું પેટ ભરીને સ્વેચ્છાએ દૂધ પધરાવતા ભાવિકને સારા આશિર્વાદ પ્રાપ્ત કરાવી શકાય! આમ શિવનો ભાગ જીવ માટે એકત્ર કરી ઓન્લી ઇન્ડિયન એક ઉમદા હેતુથી આ મિલ્ક બેન્ક ચલાવી રહ્યાં છે.

ભેગું થતું દૂધ ઓન્લી ઇન્ડિયન પહેલાં પોતે ટેસ્ટ કરે છે, પછી વિતરણ કરે છે
શિવાલયમાં જમા થતું દૂધ ગરમ કરી, તેમાં ખાંડ ઉમેરી તેને ચાખ્યા બાદ જ જરૂરિયાતમંદ બાળકો, વૃદ્ધજન, સગર્ભાને તેમના રહેણાંક વિસ્તારમાં જઈને અથવા તો રસ્તા પર જ્યાં મળે ત્યાં દૂધ પીવડાવે છે. આમ, સમાજસેવા કરતાં કરતાં તેઓ અન્યના સ્વાસ્થ્યનો ખ્યાલ પણ રાખે છે. જો કદાચ દૂધ બગડી જાય તો, તેમાં મેળવણ નાંખી તેની છાસ બનાવીને ગરીબોને પીવડાવે છે અથવા તો અબોલ જીવની ક્ષુધા શાંત કરે છે.

દરરોજ આટલું દૂધ વિતરણ કરે છે
શ્રાવણ માસ દરમિયાન ચાલતી ઓન્લી ઇન્ડિયનની આ મિલ્ક બેન્ક દ્વારા દરરોજનું ઓછામાં ઓછું 25 થી 30 લીટર અને સોમવારના દિવસે 45 લિટરથી વધુ દૂધનું વિતરણ તેઓ જરૂરિયાત મંદ લોકોને કરતાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો