કોરોના કાળમાં બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખવા? કેવા લક્ષણો હોય તો કયો ટેસ્ટ કરાવવો? જાણો માતા પિતાને મૂંઝવતા સવાલોના જવાબ

કોરોનાના અજગરી ભરડામાં હવે બાળકો પણ આવી રહ્યા છે. જેને કારણે સ્વાભાવિક રીતે જ માતા-પિતામાં ખૂબ ચિંતા જોવા મળી રહી છે. નાના બાળકોમાં થતા કોવિડ-19ના મા-બાપને મુંઝવતા પ્રશ્નો અને ઉત્તરો લાવવાના પ્રયાસ કર્યો છે. જેથી માતા-પિતાની ચિંતામાં ઘટાડો થાય અને વૈજ્ઞાનિક ઢબે બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તેની માહિતી આપના સુધી પહોંચી શકે. સુરતના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર વિમલ જરીવાલાએ કેટલાક મહત્વના સૂચનો કર્યા છે.

સવાલઃ શું કોરોના નું ઈન્ફેક્શન બાળકોને થઈ શકે છે?
જવાબઃ 
હા. ગયા વર્ષના કોરોના મહામારીના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તાજા જન્મેલા શિશુથી લઈને મોટા બાળકો સુધી બધામાં કોરાનાનું ઈન્ફેકશન થઈ શકે છે. મોટા ભાગના બાળકો સારા થઈ જાય છે, છતાં ઘણા બાળકોમાં ગંભીર લક્ષણો પણ જોવા મળ્યાં છે.

સવાલઃ બાળકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગી શકે છે ?
જવાબઃ 
ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ કોરોનાથી સંક્રમિત થયો હોય તો એ ઘરમા અન્ય સભ્યોને સંક્રમિત કરી શકે છે. બાળકોને મોટો ભાગે ઘરમાંથી બહાર નોકરી-ધંધાર્થે આવ-જા કરતાં વ્યક્તિ દ્વારા કોરોનાનું સંક્રમણ લાગે છે. આવા વ્યક્તિને પોતાને ઘણી વખત કોરોનાનાં લક્ષણો ના હોય એવું પણ બને. આ ઉપરાંત બાળકોને મહોલ્લામાં સાથે રમતા અન્ય બાળકો ધ્વારા અથવા અન્ય કોઈ ભીડવાળી જગ્યાએથી અજાણ્યા વ્યક્તિ ધ્વારા પણ સંક્રમણ થઈ શકે છે.

સવાલઃ નાના બાળકોમાં કોરોનાનાં શું લક્ષણો જોવા મળે છે?
જવાબઃ 
તાવ, ગળું દુખવું, માથું દુખવું, શરીરનો દુખાવો, શરદી-ખાંસી, ઉલ્ટી, ઝાડા, પેટનો દુખાવો વગેરે નાના બાળકોના કોરાનાનાં શરુઆતનાં લક્ષણો છે. સંક્રમણ વધારે ફેલાતા ગંભીર લક્ષણો પણ જોવા મળે છે જેમ કે, ખૂબ અશક્તિ લાગવી, ખોરાક બંધ થઈ જવો, ખૂબ ખાંસી આવવી, શ્વાંસમાં તકલીફ પડવી વગેરે.

સવાલઃ બાળકોમાં કોરોના જાણવા માટે કયો રીપોર્ટ કરવામાં આવે છે ?
જવાબઃ 
કોઈ પણ પુખ્ત વ્યક્તિની જેમ જ બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ જાણવા માટે નાકમાંથી સેમ્પલ લઈને કોવિડ રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા કોવિડ RT-PCR કરવામાં આવે છે. કોવિડ RT-PCR વધુ ભરોસેમંદ ટેસ્ટ છે પરંતુ તેનો રિપોર્ટ આવતા 24થી 48 કલાક થઈ જાય છે, જ્યારે રેપિડ એન્ટિજન ટેસ્ટનો રીપોર્ટ 10-15 મિનિટમાં આવી જાય છે. શરુઆતમાં કરાવેલો રેપિડ એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ડોક્ટરને બાળકમાં કોરોના ઈન્ફેક્શનની શંકા હોય તો RT-PCR ટેસ્ટ કરાવી શકાય. સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં આનાથી વિશેષ અન્ય કોઈ પણ રિપોર્ટની જરુર હોતી નથી. ગંભીર લક્ષણો ધરાવતા બાળકોમાં સારવાર માટે જરુરી એવા અન્ય રીપોર્ટ જેવા કે CBC, CRP, LFT, D-Dimer, S. Ferritin વગેરે રિપોર્ટ કરાવવામાં આવે છે.

સવાલઃ બાળકમાં કોરોના રિપોર્ટ ક્યારે કરાવવો જોઈએ?
જવાબઃ
 ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થાય તો એ ઘરનાં દરેક સભ્યોએ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ, નાના બાળકોએ પણ. હાલનાં સંજોગોમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ફેલાયું હોવાથી કોઈ પણ બાળકને તાવ, શરદી-ખાંસી કે માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય તો કોરોનાનો રિપોર્ટ કરાવવો જોઈએ (ઘરમાં અન્ય કોઈ બિમાર ન હોય તો પણ).

સવાલઃ મારા બાળકના કોરોના RT-PCR રીપોર્ટમાં CT વેલ્યુ લખેલી છે જે ખૂબ ઓછી છે અને નોટ્સમાં લખ્યું છે કે CT વેલ્યું ઓછી એટલે ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે. શું આ ગંભીર બાબત છે ?
જવાબઃ
 ના. બાળકના કોરોના RT-PCR રિપોર્ટમા CT વેલ્યુનું ખાસ મહત્વ નથી. સારવાર બાળકનાં લક્ષણો મુજબ કરવામાં આવે છે. CT વેલ્યુ પરથી રોગની ગંભીરતાનો કોઈ અંદાજ લગાવી શકાતો નથી.

સવાલઃ નાના બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરાવી શકાય ?
જવાબઃ
 મોટા ભાગના બાળકોમાં કોરોના થાય તો પણ તેના લક્ષણો ખૂબ સામાન્ય હોય છે. બાળકોમાં કોરોના એટલો ઝડપથી ફેફસામાં ફેલાતો નથી. જેથી શરુઆતી લક્ષણો ધરાવતા બાળકોમા છાતીનો સીટી સ્કેન કરવાની જરુર હોતી નથી, પરંતુ ખૂબ ખાંસી આવતી હોય, છાતીમાં દુખાવો થાય, શ્વાસમાં તકલીફ પડે તો સીટી સ્કેન કરવાની જરુર પડી શકે.

સવાલઃ બાળકને કોરોના થાય તો શું સારવાર કરવામાં આવે છે ?
જવાબઃ
 મોટા ભાગના સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમા કોરાના કોઈ ચોક્ક્સ દવા વગર, જરુર પુરતી તાવની કે ખાંસીની દવા આપવાથી જ સારો થઈ જાય છે. ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરીને રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં આવે છે. પુખ્ત વયના દર્દીમાં વપરાતી દવાઓ જેવી કે Fevioaravir, Ivermectin, Doxycyclin, વગેરે બાળકોમાં વાપરવામાં આવતી નથી.

સવાલઃ કોરોનાનું સંક્રમણ ધરાવતું બાળક ઘરે હોય તો શું ધ્યાન રાખવું ?
જવાબઃ
 ડોક્ટરની સલાહ મુજબની દવાઓ આપવી, ખૂબ પાણી પીવડાવવું, ઘરે જ બનાવેલો તાજો સંતુલિત ખોરાક આપવો, બહારનો ઠંડો અને વાંસી ખોરાક આપવો નહી, હુંફાળું પાણી પીવડાવવું અને શક્ય હોય તો મોટા બાળકોને સવાર-સાંજ બાફ આપવો.

સવાલઃ નાનું બાળક કોરોનાથી સંક્રમિત થયું હોય તો તેને 14 દિવસ આઇસોલેટ કઈ રીતે કરવું? તે એકલું કઈ રીતે રહી શકે ?
જવાબઃ
 નાના બાળકોને કોરોનાનું સંક્રમણ મોટે ભાગે ઘરનાં કોઈ મોટા વ્યક્તિમાંથી જ લાગ્યું હોય છે, જે વ્યક્તિ ઘણી વાર પોતે લક્ષણો ધરાવતો ન પણ હોય શકે. એટલે કોરોના સંક્રમિત બાળકને મા-બાપની સાથે જ રાખવાનું હોય છે. પરંતુ ઘરના 50 વર્ષથી વધુ ઉંમરના વડીલને અથવા કોમોર્બિડીટીવાળા (અન્ય બિમારી વાળા) વ્યક્તિને સંક્રમિત બાળકથી અલગ રાખવા જરુરી છે.

સવાલઃ અમારા ઘરમાં દરેક મોટા વ્યક્તિ કોરોના પોઝિટિવ છે, માત્ર બાળકનો રીપોર્ટ નેગેટિવ છે અને એને કોઈ લક્ષણો પણ નથી. તો શું અમારે આ બાળકને અમારાથી અલગ બીજા ઘરે મોકલી દેવો જોઈએ ?
જવાબઃ
 બિલકુલ નહી. આવું બાળક રિપોર્ટ નેગેટીવ હોવા છતાં કોરોનાથી સંક્રમિત હોય શકે છે. આવું બાળક બીજાના ઘરમાં પણ સંક્રમણ ફેલાવશે. માટે આવા કિસ્સામાં બાળકને પોતાના ઘરે જ રાખો.

સવાલઃ મારી પત્નીને હાલમાં જ ડિલિવરી થઈ છે અને હવે કોરોના પોઝિટિવ આવ્યો છે. શું એ બાળકને ધાવણ આપી શકે ? શું બાળકને માતાથી અલગ રાખવું જોઈએ? શું બાળકનો કોરોના રીપોર્ટ કરાવવો જોઈએ?
જવાબઃ
 મોટે ભાગે તો આવું બાળક કોરોનાથી સંક્રમિત થઈ જ ગયું હોય છે. રિપોર્ટ કરાવી શકાય પરંતુ જરુરી નથી. જ્યાં સુધી બાળકમાં કોઈ ગંભીર લક્ષણો ન દેખાય ત્યાં સુધી કોઈ સારવારની પણ જરુર નથી. બાળકને માતાનું ધાવણ ચાલુ રાખવું. કોરોના પોઝિટિવ માતા મોઢાં ઉપર માસ્ક પહેરીને બાળકને ચોક્ક્સ ઘાવણ આપી જ શકે છે.

સવાલઃ મારા બાળકને 5 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હમણાં બધું જ સારું છે. તો હવે ફરી રિપોર્ટ ક્યારે કરાવું?
જવાબઃ
 બાળક સારું હોય તો ફરીથી રિપોર્ટ કરવાની કોઇ જ જરૂર નથી. 14 દિવસ ક્વોરન્ટીન ના પુરા કરવા.

સવાલઃ મારું બાળક કોરોના પોઝિટિવ હોવાથી 7 દિવસથી ક્વોરન્ટીન છે. તાવ પણ મટી ગયો છે. આજે મેં ફરી એન્ટીજન ટેસ્ટ કરાવ્યો તો તે નેગેટિવ આવ્યો છે. હવે હું તેને ઘરમાંથી બહાર કાઢી શકું?
જવાબઃ
 ના. રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 14 દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે, નહીં તો આવું બાળક ( અથવા કોઈ પણ વ્યક્તિ) બીજાને ઇન્ફેક્શન ફેલાવી શકે છે.

સવાલઃ નાના બાળકો માટેના કોરોનાથી બચવાના ઉપાયો જણાવશો?
જવાબઃ
 ઘરમાંથી કામકાજ માટે બહાર જતાં વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું કે પોતે અજાણતામાં ઇન્ફેક્શન ઘરે લઈને નથી આવતા ને. તે માટે જાહેર જગ્યાઓ પર હંમેશા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, નાક અને મોઢું બંને ઢંકાય એ રીતે ટ્રિપલ લેયર માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો અને વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. ઘરમાં પ્રવેશો ત્યારે તરત બાળક પાસે ન જતાં પહેલા સ્નાન કરી, પોતાના પહેરેલાં કપડા બદલીને પછી જ બાળકની નજીક જવું. ઘરમાં કોઈ ને પણ શરુઆતનાં લક્ષણો દેખાય કે તરત ડોક્ટરની સલાહ લઈને એમનો રિપોર્ટ કરાવો. વારંવાર રિપોર્ટ કરવો પડે તો પણ અચકાવું નહીં. 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ કોરોનાની રસી અવશ્ય મુકાવવી.

સવાલઃ શું કોરોનાની રસી બાળકોને આપી શકાય?
જવાબઃ
 હાલમાં ભારતમાં અપાતી કોરોનાની રસી 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને આપી શકાતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો