જેતલસરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ઘરની બહાર કાઢી જાહેરમાં સગીરાની છરીના 35 ઘા મારી હત્યા કરી, ગામ સ્વયંભૂ બંધ, મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

જેતપુર તાલુકાના જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તરુણીને વારંવાર લગ્ન કરવા દબાણ કર્યું હતું અને તે વારંવાર ના પાડતી હતી, આથી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના શખસે ગઇકાલે મંગળવારે બપોરના સમયે માતા-પિતા મજૂરી અર્થે બહાર ગયાં હોઈ, ત્યારે યુવતીના ઘરે જઈ ભાઈ-બહેન એકલાં હતાં ત્યારે છરીના આડેધડ 35 ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. આના વિરોધમાં જેતલસર ગામે સ્વયંભૂ બંધ પાળ્યો છે. ગ્રામજનો એકત્ર થઈ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કડકમાં કડક સજા ન કરવામાં આવે ત્યાં સુધી તરુણીનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો છે.

ગઈકાલે ઘરની બહાર કાઢી જાહેરમાં સગીરાની હત્યા થતાં જેતલસર ગામે સ્વયંભૂ સવારથી જ દુકાનો બંધ રાખી ગ્રામજનોની બેઠક મળી હતી, જેમાં આરોપીની જાહેરમાં સરભરા કરી અને આકરામાં આકરી સજા કરવા માગ કરી છે. સગીરાના નાના ભાઈ પર પણ છરીના પાંચ ઘા માર્યા હતા. આ ઘટનાને લઇ જેતલસર ગામનાં ગ્રામજનો એકઠાં થયાં છે અને આવાં અવારા તત્ત્વો સામે આકરામાં આકરાં પગલાં લેવાય એવી માગ ઊઠી છે. બંધમાં સર્વ જ્ઞાતિના લોકો જોડાયા છે અને એકઠા થયા છે. ગામની અંદર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી પણ માગ કરાઇ છે.

હત્યાનો ભોગ બનેલી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી (ઉં.વ.16) જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, આથી આરોપી વારંવાર તેની પાછળ જઈને તેને હેરાનપરેશાન કરતો હતો. તરુણીએ તેને વારંવાર સમજાવ્યો, પરંતુ જયેશ ટસનો મસ થયો ન હતો. મંગળવારે બપોરના યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને શીતલબેન કિશોરભાઈ મજૂરી માટે ગયાં હતાં, ત્યારે જયેશે સૃષ્ટિને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી અને તું મારી સાથે લગ્ન કર એવી જબરદસ્તી કરી હતી, આથી યુવતીએ વારંવાર ના પાડતાં તેને ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકી જયેશે સાથે રાખેલી છરી કાઢીને યુવતીને અસંખ્ય ઘા માર્યા હતા, આથી તરુણી લોહીના ખાબોચિયામાં ઢળી પડી હતી.

આ જોઇ યુવતીનો ભાઈ હર્ષ બહેનને બચાવવા આડો પડ્યો હતો. ત્યારે આરોપીએ મોઢું જોયા વગર પાંચ છરીના ઘા તેને પણ ઝીંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી પોતાની વાડીએથી ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી ત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી મૃતકની ડેડબોડીને જેતપુર સિવિલ બાદ એફએસએલ પીએમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

આરોપી જયેશ જાણે માનસિક સ્થિતિ ગુમાવી ચૂકયો હોય એમ આડોશપાડોશના લોકો પર પણ હુમલો કરવાની તૈયારીમાં હતો. ત્યારે લોકોએ સમયસૂચકતા વાપરી યુવતીના ભાઇ હર્ષને પાડોશીના ઘરમાં લઈ ગયા હતા અને જોરદાર બૂમાબૂમ થઇ જતાં જયેશ સરવૈયા ત્યાંથી નાસી છૂટયો હતો. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. ગુનાહિત પ્રવૃત્તિ વધતાં તેના પિતાએ કંટાળીને તેને ઘરવટો આપ્યો હતો. થોડા સમય પૂર્વે યુવતીને છેડતાં યુવતીના પિતાએ આરોપીના પિતા ગિરધર સરવૈયાને તેના પુત્રને સમજાવવા વાત કરી હતી, પરંતુ આરોપી કોઈના કહ્યામાં ન હોવાથી જૂની અદાવતનો ખાર રાખી યુવતીના પિતા તેના પિતાને ફરિયાદ કરવા ગયા તે બાબતનો ખાર રાખી ગુનાને અંજામ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો