જગતના તાતનો આવ્યો રડવાનો વારો, 1 કિલો લસણના મળે છે 75 પૈસા

બેડી યાર્ડમાં સોમવારે લસણ પાણીના ભાવે વેચાયું હતું.ખેડૂતોને 1 કિલોના માત્ર 75 પૈસા જ મળ્યા હતા.પૂરતા ભાવ નહીં મળનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.અત્યાર સુધીમાં પ્રથમ વખત લસણની સાવ નજીવી કિંમત ઉપજી છે.યાર્ડમાં લસણ નહીં લાવનાર ખેડૂતોને ખર્ચના પૈસા પણ મળ્યા નથી.છેલ્લા કેટલાક વખતથી લસણના ભાવ નીચા જઈ રહ્યા છે. ઉત્પાદન વધારે છે અને સામે નિકાસ થતી નથી. જેને કારણે ખેડૂતોને ફટકો સહન કરવો પડી રહ્યો છે.

ખેડૂતોને લસણનો યોગ્ય ભાવ મળી નથી રહ્યો જેથી જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. લસણનો ભાવ સતત ઘટી રહ્યો છે ત્યારે ખેડૂતોને એક કિલો લસણના માત્ર 75 પૈસા મળી રહ્યાં છે. ખેડૂતોને મણે 150 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ 2015-16માં દેશી લસણના ભાવ મણના રૂા.1400 હતા, તેની સામે આજે રાજકોટ યાર્ડમાં રૂા.60 થી 275ના ભાવે સોદા થઇ રહ્યાં છે.

આ અંગે ખેડૂતો કહે છે કે છેલ્લા બે વર્ષથી લસણમાં પ્રત્યેક ખેડૂતે હજારો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. કેમકે નિકાસ બંધ અને ઉપરથી સ્થાનિકો સારા ઉપ્તાદન છતાં ચાઇનીઝ લસણની ઘુસપેઠ અને બન્ને પરિબળ નડી રહ્યા છે.

અમને બધુ થઇને લસણ એક કિલોના 10થી 15 રૂપિયે પડે છે જ્યારે તેની સામે અમને કિલો લસણનાં માત્ર 75 પૈસા જ મળે છે. એટલે અમારે તો હવે સરકાર કંઇ ન કરે તો વિચારવાનો વારો આવશે કે અમારે ભવિષ્યમાં લસણ વાવવું કે ન વાવવું. જો આવુંને આવું જ રહેશે તો ગુજરાતના ખેડૂતો લસણ જ નહીં વાવી શકે.

એક વીઘા જમીનમાં લસણ વાવવાથી ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી બધુ મળીને પચ્ચીસ-ત્રીસ હજાર ખર્ચ થાય. તેની સામે વીઘે 30 હજાર ઉત્પાદન-ખર્ચવાળા લસણનો ભાવ પ્રતિમણ રૂા.60 રૂપરડી જેવો તળીયો જઇ બેઠો છે. ખેડૂતોનું કહેવું છે કે મળતર તો દૂર, વિધા-દીઠ કેટલા હજાર નુકસાન ખમવું પડશે એની જ હવે તો ચિંતા છે.

સરકારે ખેડૂતોનું હિત વિચારવું જોઈએ

અન્ય રાજ્યમાં સરકાર ખેડૂતોને લસણ માટે ભાવાંતર યોજના હેઠળ સહાય કરે છે, જ્યારે ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને નુકસાન જ થઈ રહ્યું છે, જ્યારે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી બન્ને સૌરાષ્ટ્રના છે ત્યારે તેમણે સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા હલ કરવી જોઇએ.જો અન્ય સરકાર ખેડૂતોને સહાય કરી શકતા હોય તો ગુજરાત સરકાર શું કામ નહીં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો