ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખોરાક માટે “ફેમિલી ફાર્મર અભિયાન”

વર્ષો પહેલા વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર આપણાં દેશમાં ખેતી થતી હતી તે સમયે અન્ય દેશોથી અનાજ ની આયાત કરવી પડતી હતી તેથી આપણાં દેશમાં ખેત ઉત્પાદન વધે તે ખૂબ જરૂરી હતું ખેત ઉત્પાદન વધારવા માટે વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓનો સહારો લેવામાં આવ્યો આ વિલાયતી ખાતર અને દવાઓના ઉપયોગથી જમીન સાથે જોડાયેલા રહેતા અળસીયાનો નાશ થયો અને જમીન વિલાયતી ખાતર અને દવાઓની વ્યસની બની, પાકની ગુણવતા બગડી, ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું , બિયારણો, પાણી અને પર્યાવરણ વગેરે પ્રદુષિત થયા. પાકમાં રોગ જીવાંતનું પ્રમાણ વધ્યું પરિણામે મનુષ્ય, પ્રાણીઓના શ્વાસ ઉપર વિપરીત અસર થઈ મનુષ્યમાં રોગનું પ્રમાણ વધ્યું અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી.

ગાયના છાંણ અને ગૌમુત્ર માથી શુભાષ પાલેકરજીએ આપેલા માર્ગદર્શન મુજબ જીવામૃત પાણી સાથે જમીનને આપવાથી જમીનમાં મોટા પ્રમાણમા અળસિયાઑ પેદા થયા વિલાયતી ખાતર અને દવા વગર લાખો ખેડૂતો ખેત ઉત્પાદન મેળવવા લાગ્યા. ગાય આધારિત પ્રકૃતિક ખેતી થી ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચ ઘટ્યું, વિલાયતી ખાતર અને દવા દ્વારા જે ખેત ઉત્પાદન થતું તેટલું અને અમુક પાકોમાં તેથી પણ વધુ ખેત ઉત્પાદન મળવા લાગ્યું આ પધ્ધતિથી ખેતી કરતાં અનેક ખેડૂતોની અમોએ મુલાકાત લીધી તેઓની ખેતી કરવાની કર્યા પધ્ધતિ સમજ્યા. આજે હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પરિણામો પણ સારા મેળવી રહ્યા છે. ગાય આધારીત પ્રાકૃતિક પધ્ધતિથી બહુ મુખી ફાયદાઓ છે ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદનની આવક વધે છે લોકોને રસાયણ મુક્ત ખોરાક પ્રાપ્ત થાય છે. ગાય આધારિત ખેતી હોવાથી ગાયની પણ સેવા થાય છે ઓછા પાણી દ્વારા ઉત્પાદન થાય છે આ પધ્ધતિમાં જીવામૃત આપવાથી મોટા પ્રમાણમાં અળસિયા પેદા થાય છે અને તે અળસિયા ખેતરની જમીન પોચી હોય ત્યાં સુધી એટલે કે ૧૫-૧૫ ફૂટ સુધી જમીનમાં સીદ્રો પાડે છે અને બીજા સીદ્રો દ્વારા બહાર આવે છે.

આ અળસિયા જમીનને ઉપજાવ બનાવવા માટે તો કામ કરે જ છે પરંતુ ૬ ઇંચ વરસાદ પડે તો પણ સંખ્યા બંધ ખેતરોમાં સીદ્રો હોવાથી વરસાદનું બધુજ પાણી જમીનમાં ઉતારી જાય છે તેથી આ પધ્ધતિમાં જલસંચય નું પણ બહુ મોટું કામ થાય છે. આ પધ્ધતિ થી ખેતી કરતાં ખેડૂતોને પાકમાં કોઈપણ પ્રકારનો રોગ લાગે તો નિમાસ્ત્ર નામની દવા બનાવેલ છે આ દવા કોઈ પાસેથી ખરીદવી નથી પડતી પરંતુ ખેડૂત પોતે લીમડાના પાન, સીતાફળના પાન જેવા વગેરે ૧૦ પ્રકારના પાન અને ગૌમુત્ર માંથી બનાવે છે. અને પાકને રોગ માંથી મુક્તિ અપાવે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થી હજારો ખેડૂતો વિલાયતી ખાતર અને દવા વગર ખૂબ સારૂ ઉત્પાદન મેળવતા થયા છે. વર્ષોથી આપણાં સૌના મગજમાં એક વાત હતી કે વિલાયતી ખાતર અને જંતુ નાશક દવા વગર કોઈપણ પ્રકારનું ઉત્પાદન થઈ શકે નહીં, વિલાયતી ખાતર અને દવા વગર ઉત્પાદન લેવા માટેના પ્રયાસો થતા પણ ત્યારે તેમાં સફળતા મળતી નહોતી પરંતુ આજે ગાય આધારિત જીવામૃત બન્યું તે જીવામૃત દ્વારા પ્રકૃતિક ખેતીને ખુબજ બળ મળ્યું છે જેના કારણે આપણને આજે હજારો ખેડૂતો પ્રકૃતિક ખેતી કરતાં જોવા મળે છે કોઈ ખેડૂત ૫ વર્ષથી તો કોઈ ખેડૂત ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.

જે પરિવારને રસાયણ મુક્ત ખોરાક પોતાના રસોડામાં ઉપલબ્ધ કરવો છે અને પોતાના પરિવારને તંદુરસ્ત બનાવવો છે તેવા પરિવારને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો મળી શકે તેના માટે ફેમિલી ફાર્મર અભિયાન ચાલુ કરવામાં આવ્યૂ છે. આ ફેમિલી ફાર્મર અભિયાન એટલે શું? જેમ આપણે ફેમિલી ડોક્ટર હોય છે તેવીજ રીતે આપણે ફેમિલી ફાર્મર પણ નક્કી કરવા પડશે. આ અભિયાનમાં એક ફેમિલી ફાર્મર નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે જે વેબસાઇટ ઉપર ગુજરાતમાં ગાય આધારિત ખેતી કરતાં ખેડૂતોની યાદી જોવા મળશે અને આપે તે વેબસાઇટ પર થી આપને જે ફાર્મર અનુકૂળ હોય તેની પસંદગી કરી તેની સાથે એગ્રીમેન્ટ કરી શકશો ત્યારબાદ તે ફાર્મર આપણે તેમના ખેતરમાં પ્રકૃતિક ખેતી કેવી રીતે થાય છે તેના દ્રશ્યો જેમ કે જીવામૃત બનાવવાની રીત તેને પાણી સાથે આપવાની પધ્ધતિ, પાકના ઉત્પાદનનો ગ્રોથ, પાકનું પેકિંગ વગેરેના ફોટોગ્રાફ આપને મોબાઈલ ના મધ્યમથી રોજે-રોજ મોકલતા રહેશે. ફેમિલી ફાર્મર અભિયાનમાં માનવ સેવા અને દેશ સેવા છે આ અભિયાન દેશના લોકોને રસાયણ મુક્ત ખોરાક આપીને અનેક પ્રકારની બીમારી માંથી મુક્તિ આપવશે. પતિ-પત્ની તંદુરસ્ત હશે તોજ તેમના કૂખે તંદુરસ્ત બાળક જન્મે છે તંદુરસ્ત બાળક માટે પતિ –પત્નીએ તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે અને તંદુરસ્ત રહેવા માટે રસાયણ મુક્ત ખોરાકનો જ ઉપયોગ કરવો પડશે.

આપણાં પાડોશી દેશ ભુતનમાં અમે લોકોએ જોયું તે દેશમાં વિલાયતી ખાતર અને દાવાને પ્રવેશ જ નથી આખા દેશમા પ્રકૃતિક ખેતી થઈ રહી છે તે દેશના ડોક્ટરો અને લોકોએ અમોને કહ્યું કે અમારા દેશમાં કોઈપણ વ્યક્તિને કેન્સર નથી. ભૂટાન દેશમાં પ્રકૃતિક ખેતીના લીધે કેન્સર ન હોય તો આપણે પણ આપણાં દેશને કેન્સર મુક્ત કરી શકીએ છીએ. દેશના સૌ જાગૃત લોકોએ અને ખેડૂતોએ પ્રકૃતિક ખેતીને મહત્વ આપવું પડશે આ અભિયાનને જન-જન સુધી લઈ જવા માટે આપણે ફેમિલી ફાર્મર અભિયાને વેગવંતુ કરવું પડશે. આ અભિયાનથી ખેડૂતોને પોતાના ઉત્પાદનના ગ્રાહકો મળશે અને યોગ્ય ભાવ મળશે જેથી અન્ય ખેડૂતો પણ પ્રેરિત થશે ઉપરાંત ફેમિલી ફાર્મર બનાવનારને ગુણવતા સભર ખોરાક મળશે તો ચાલો આપણે સૌ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ફેમિલી ફાર્મર અભિયાનને જન-જન સુધી લઈ જઈએ અને આ અભિયાનથી બહુમુખી ફાયદાઓ મેળવી માનવ સેવા અને દેશ સેવા કરીએ.

મથુરભાઇ સવાણી
પ્રમુખ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો