ઉત્તર ગુજરાતમાં 4.5ની તિવ્રતાનો ભૂકંપ, પાલનપુર નજીક એપીસેન્ટર
આજે રાત્રે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકોએ ભૂકંપના આંચકાઓનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત અરવલ્લી, સાબરકાંઠા અને અંબાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપના આંચકાને લીધે લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી આવ્યા હતાં.
બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 10 સેકન્ડ સુધી આવેલા ભૂંકપના કારણે લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. માહિતી પ્રમાણે ભૂકંપના આંચકાની તિવ્રતા 4.5ની આસપાસ છે. પાલનપુર, ડીસા, અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે.

રાત્રે 9.32થી 10.30 વાગ્યાની આસપાસ 10 સેકન્ડ માટે અનુભવાયેલા ભૂકંપની એપી સેન્ટર બનાસકાંઠા જિલ્લો છે. બનાસકાંઠાના પાલનપુરથી 31 કિ.મી. દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ઇડર, હિમંતનગર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા, શામળાજી, બાયડ, ધનસુરામાં ધરતીકંપથી લોકો ઘરની બહાર દોડી ગયા છે.
સાતથી દસ સેકન્ડ અનુભવાયો ભૂકંપ
અમદાવાદના થલતેજ તેમજ જજીસ બંગ્લો વિસ્તારમાં આંચકા અનુભવાયા હતાં. આ ઉપરાંત માઉન્ટ આબુના વિવિધ વિસ્તારોમાં પણ આંચકાનો અનુભવ થયો હતો. આ હળવા ભૂકંપના આંચકાઓ સાતથી દસ સેકન્ડ સુધી અનુભવાયા હતાં. હાલ તો ગુજરાતના કોઈ વિસ્તારમાંથી ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાન થયા હોવાના અહેવાલ નથી.

ભયભીત થયા લોકો
આ હળવા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદ ઉપરાંત ડિસા, અરવલી, સાબરકાંઠા, અંબાજીમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર પાલનપુરથી 31 કિલોમીટર દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

