ભાજપના નેતાને કોરોનાની ગાઇડલાઇન ન નડે: સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો, ભાજપ નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચ્યા
એક તરફ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એ માટે સરકાર તરફથી આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ દ્વારા જાણે કે આ પ્રકારની ગાઈડલાઇન તેમના માટે ન હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વલસાડ જિલ્લાના ધરમપુરના ભાજપના નેતા કેતન વાઢુંનો વીડિયો ફરતો થયો છે. આ વીડિયો જોઇને તમે પણ કહી ઉઠશો કે સોશિયલ ડિસ્ટન્સના આ રીતે ધજાગરા ઉડતાં તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયા હોય. ભાજપના નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચી રહ્યાં હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે આ વીડિયો ફરતા થયાં બાદ ગઇકાલે રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી અને 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ભાજપ નેતા કેતન વાઢુંએ પોતાના લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી હતી અને ઉપસ્થિત મહેમાનો કોઇપણ પ્રકારની કોરોના ગાઈડલાઇને ફોલો કર્યા વગર સંગીતના તાલે નાચતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. લગ્નના આ પ્રકારના વીડિયો વાઈરલ થયા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને ગઇકાલે રાત્રે 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ તમામ વિરુદ્ધ કોવિડ-19ના જાહેરનામા ભંગ અને ભીડ ભેગી કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું છેકે, 26 ડિસેમ્બરના રોજ ધરમપુરમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદભાઈ વાઢુંએ દીકરા કેતનભાઈ વાઢું કે જેઓ તાલુકા ભાજપ પ્રમુખ છે તેના લગ્ન અને પોતાના ભાઈના દીકરાના લગ્ન હોવાથી તેમણે ઓર્કેસ્ટ્રા પાર્ટીનું આયોજન કર્યું હતું. આ લગ્નની ઓનલાઇન નોંધણી કરાવી હતી. પરંતુ ત્યાંથી પોલીસને ફોટોગ્રાફ દ્વારા બાતમી પ્રાપ્ત થઇ કે ત્યાં 100 લોકો કરતા વધારે લોકો ભેગા થયા છે અને તેમણે માસ્ક પહેર્યા નથી. જે અનુસંધાને ધરમપુર પોલીસે બનાવ સ્થળે જઇ ટોળા વિખેરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને રાત્રે જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી 8ની બનાવ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
તાપીમાં ભાજપના કાર્યકર દ્વારા મોટી સંખ્યામાં યોજાયેલા લગ્ન બાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં આ બીજી ઘટના સામે આવી છે. જેમાં લગ્નમાં સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય અને લગ્નમાં નાચગાન કરતા હોય આ મામલે ભાજપ પક્ષના કાર્યકરો બેફામ બન્યા છે. કાયદાથી ઉપર હોય તેમ કોવિડની ગભીરતાંને લઈને બેફિકર બની જાહેરનામાંનું સન્માન જાળવતા નથી જેને લઇને આ મામલે સમાજમાં અને સામાન્ય નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બોધપાઠ જરૂરી
મોટાભાગના પોલિટિકલ મેળાવડામાં સંક્રમણ મામલે નિયમોની જાળવણી થતી નથી. નિયમોને જાળવણી માત્ર સામાન્ય લોકોના માસ્ક પહેરવા સુધી જ સીમિત થયો હોય તેમ વલસાડના સામાન્ય નાગરિક આ મામલે રોષ વધી રહ્યો છે અને દર વખતે આરોપીઓ જામીન લઇને આવા કેસમાં છૂટી જતા હોય છે ત્યારે રાજ્ય સરકાર કોરોનાના નિયમની એસીતેસી કરવા બદલ આવા તત્વો પર કડક કાર્યવાહી કરે તેવી માગ હાલ સમાજમાંથી ઉઠી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

