કોરોના વાયરસ સામે લડવા સુરતમાં 72 કલાકની અંદર 250 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ
ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના દર્દીઓને જોતા સુરતમાં શનિવારે હંગામી ધોરણે નવી હોસ્પિટલ બનાવવાનું કામ શરુ કરાયું હતું. ત્યારે 72 કલાકની અંદર 250 બેડવાળી આ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. આ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની હવે સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલ એક તૈયાર બિલ્ડીંગમાં જ શરૂ કરવામાં આવી હતી.
આ પહેલા 21મી માર્ચે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા મામલાને જોતા નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં વ્યવસ્થાઓમાં ઉણપ જણાતા તાત્કાલિક ધોરણે નવી હોસ્પિટલ બનાવવાનું કામ શરૂ કરાયું હતું. આ માટે કેમ્પસમાં જ આવેલી એક ખાલી બિલ્ડીંગમાં 72 કલાકમાં કોરોના વાયરસના દર્દીઓ માટે નવી હોસ્પિટલનું કામ શ્રીફળ વધેરીને શરૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે. જેમાં અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, વડોદરા અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યમાં કુલ સરકારી હોસ્પિટલોમાં કુલ 1583 અને ખાનગી હોસ્પિટલોમાં 635 આઈસોલેશન બેડ ધરાવતી સરકારી હોસ્પિટલો ઉપલબ્ધ છે. જ્યારે વધારાને બેડ ઊભા કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.
આ સાથે જ રાજ્યમાં તમામ સરકારી હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓની સારવાર માટે 609 જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 1500 જેટલા વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. સુરતમાં 69 વર્ષના એક વૃદ્ધનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને જોતા મંગળવારે રાત્રે 12 વાગ્યાથી દેશભરમાં લોકડાઉનની જાહેરાત પીએમ મોદીએ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

