આગ લાગે ત્યારે એક રુમાલ કઈ રીતે બચાવી શકે તમારો જીવ? જાણો

સુરતમાં જે થયું તેવું આપણી સાથે થાય તો? આ કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. પરંતુ જો આવું ખરેખર થઈ જાય તો શું કરવું તેની પણ આપણને સારી રીતે ખબર હોવી જોઈએ. એક વાત એ પણ સમજી લેવી જરુરી છે કે, આગ લાગવીથી જેટલા લોકો બળીને નથી મળતા તેના કરતા વધારે લોકો ધૂમાડો શ્વાસમાં જવાના કારણે ગૂંગળાઈને મરી જાય છે. જો તમે આગની જ્વાળામાં ન ઘેરાયા હો, તો થોડી તકેદારી તમને ધૂમાડામાં ગૂંગળાતા બચાવી શકે છે.

એક રુમાલ કઈ રીતે બચાવી શકે તમારો જીવ?

તમે જો ધૂમાડાથી ઘેરાઈ જાઓ તો તેની વચ્ચે નાકને કવર કર્યા વિના ક્યારેય શ્વાસ લેવાની ભૂલ ન કરશો, નહીંતર મિનિટોમાં જ તમે બેહોશ થઈને પડી જશો. આવી સ્થિતિમાં બચવાના કોઈ સાધન ન હોય ત્યારે સૌથી હાથવગું સાધન છે તમારો હાથરુમાલ. આગ લાગ્યા બાદ ધૂમાડો ફેલાઈ જવાની સ્થિતિમાં બીજું કંઈ ન મળે તો તમારા રુમાલ કે શર્ટને પલાળી તમારો ચહેરો તેનાથી કવર કરી લો.

કોટનના કોઈપણ કપડાનો ઉપયોગ કરી શકો

જો તમે ધૂમાડા વચ્ચે જ ઘેરાયેલા હો તો ચહેરા પર લગાવાયેલું ભીનું કોટનનું કાપડ તમારા શ્વાસમાં ધૂમાડો પ્રવેશતા અટકાવશે, અને તમને મદદ ના આવી જાય ત્યાં સુધી જીવ બચાવવામાં મદદ કરશે. જો તમે આખો ચહેરો કવર કરેલો હશે તો આંખોમાં પણ ધૂમાડો નહીં જાય. આગ લાગી હોય ત્યારે કોઈને બચાવવા જાઓ ત્યારે પણ ભીના કપડાંથી તમારું નાક કવર કરવાનું ના ભૂલશો.

રુમમાં ધૂમાડો પ્રવેશતા અટકાવવા શું કરવું?

જો એક રુમમાં આગ લાગી હોય, અને તમે બીજા રુમમાં હો, તેનો દરવાજો બંધ હોય પરંતુ દરવાજાની નીચેથી ધૂમાડો આવી રહ્યો હોય તો પણ તમે ભીનું કપડું દરવાજા નીચે દબાવીને ધૂમાડાને અંદર આવતા રોકી શકો છો. આવી સ્થિતિમાં જો ધૂમાડો અંદર ન આવતો હોય તો બારી ખાસ ખોલી દેવી, અને જો બારીને બદલે માત્ર કાચ હોય તો તેને તોડી નાખવો, જેથી થોડો-ઘણો ધૂમાડો અંદર આવી જાય તો તે બહાર જઈ શકે.

બાથરુમ હોય તો તેમાં ઘૂસી જાઓ

આગ લાગવાની સ્થિતિમાં જો તમારી આસપાસ બાથરુમ હોય તો તેમ ત્યાં જઈ શાવર ચાલુ કરી તેની નીચે બેસી શકો છો. તેનાથી પણ તમને પ્રોટેક્શન મળી રહેશે. શાવર ન હોય તો બીજી કોઈ રીતે પણ શરીર પર પાણીનો સતત છંટકાવ કરીને તમે આગમાં સુરક્ષિત રહી શકો છો.

શક્ય હોય ત્યાં સુધી ઘૂંટણીય ચાલો

આગનું જોર હંમેશા ઉપરની તરફ હોય છે. જો તમે આગથી ઘેરાઈ ગયા હો, અને બહાર જવાનો પ્રયાસ કરતા હો તો સીધા દોડવાને બદલે શક્ય હોય તો ઘૂંટણીયે ચાલો, તેનાથી આગથી દાઝવાની સંભાવના ઘણી ઘટી જશે. વળી, જો આગને કારણે તમારા કપડાં સળગવા લાગે તો દોડવાને બદલે જમીન પર આળોટવા લાગો, તેનાથી આગ બૂઝાઈ જશે.

આગથી શરીર પર ચોંટેલા કપડાં ઉખેડશો નહીં

જો કોઈ વ્યક્તિ આગને કારણે દાઝ્યો હોય, કે તેના શરીર પર કપડાં ચોટી ગયા હોય તો તેને ક્યારેય પણ તમારી રીતે ઉખેડવાનો પ્રયાસ કરશો નહીં. કપડાંની સાથે તે વ્યક્તિની ચામડી પણ ઉખડી જશે, અને તેનાથી તેને ભયાનક નુક્સાન થશે. આગને લીધે ક્યાંક ઘા પડ્યો હોય તો તેના પર માત્ર સાદું પાણી જ છાંટો, ડેટોલ છાંટવાની ભૂલ ક્યારેય ન કરશો.

આગ લાગે ત્યારે ડરવાને બદલે કરો આ કામ

આગ લાગે ત્યારે ડરીને બૂમાબૂમ પાડવાને બદલે પોતાની આસપાસ આગ ઓલવવાનું કોઈ સાધન છે કે નહીં તે ચેક કરો. જો તમને આગ ઓલવવાના સાધનને યુઝ કરતા ન આવડતું હોય તો પણ તેના પર લખેલી સૂચનાથી તમે તેનો યુઝ કરી શકશો. પરંતુ તેના માટે મગજ ઠંડુ રાખવું જરુરી છે. આવા સમયે ડરવું નહીં તે કહેવું સહેલું છે, પરંતુ એક વાત યાદ રાખજો કે જો તમે ડરી જશો તો તમે જ તેનો ભોગ બનશો.

જો તમે ફાયર સેફ્ટીનો કોઈ ક્લાસ કે પછી વર્કશોપ અટેન્ડ ન કર્યા હોય તો કંઈ વાંધો નહીં. તમે યૂટ્યૂબ પર તેના વીડિયો જોઈ ફાયર સેફ્ટી વિશે ઘણુંબધું જાણી શકો છો. તમારી સાથે આવું ક્યારેય નથી થવાનું તેમ માની ક્યારેય ફાયર સેફ્ટીને અવોઈડ ન કરશો. શક્ય છે કે તમે તેનાથી માહિતગાર હો તો બીજા કોઈનો પણ જીવ બચવી શકશો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો