પાકિસ્તાને ઘાયલ જવાનનું અપહરણ કરી ગળું કાપ્યું, બાદમાં ગોળી મારી અને બોર્ડર પર ફેંકી દીધો મૃતદેહ

સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં મંગળવારે શહીદ થયેલાં BSF જવાન નરેન્દ્ર સિંહને (51) પાકિસ્તાની જવાનોએ 9 કલાક સુધી તડપાવ્યાં હતા. તેમનો મૃતદેહ ઘણી જ ખરાબ હાલતમાં મળ્યો હતો. જવાન નરેન્દ્ર સિંહનું ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. એક પગ કપાયેલો હતો, આંખ કાઢવામાં આવી હતી. પીઠ પર કરંટ લાગવાથી બળી ગયેલાના નિશાનહતા. શહીદના શરીર પર ત્રણ ગોળીઓ લાગી હતી. એક ગોળી શરૂઆતી હુમલામાં લાગી હતી. બાકી બે યાતનાઓ આપ્યાં બાદ મારવામાં આવી હતી.

લાપતા થયાંને 9 કલાક બાદ જવાનનો મૃતદેહ મળ્યો

– જવાન નરેન્દ્ર સિંહ ગુમ થયાંને લગભગ 9 કલાક બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો. મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યે શહીદનું પાર્થિવ શરીર મળ્યાં બાદ પણ BSFએ તેમને હોસ્પિટલ મોકલ્યો ન હતો. અને બુધવારે ગુપચુપ રીતે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને ઘરે મોકલવાની પ્રકિયા શરૂ કરી દીધી. BSFના કોઈ અધિકારી આ ઘટના પર સામે આવીને ન બોલ્યાં. કેટલાંક અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન બોર્ડર પર શહીદના શરીરની સાથે બર્બરતા આ પહેલી ઘટના છે. જે બાદ 192 કિમી લાંબા ભારત-પાકિસ્તાન બોર્ડર અને 740 કિમી લાંબી નિયંત્રણ રેખા પર હાઈએલર્ટ જાહેર કરાયું. અધિકારીઓએ કહ્યું કે આ બર્બરતાની પાછળ પાકિસ્તાની સૈનિકોનો હાથ છે.

પાકિસ્તાની સેનાએ ન કરી મદદ

– મંગળવારે સવારે પાકિસ્તાની ફાયરિંગ પછી નરેન્દ્ર સિંહ ગુમ થઈ ગયા હતા. પાકિસ્તાનની બેટ ટીમે નરેન્દ્રનું અપહરણ કરી લઈ ગયા હતા. BSFએ હોટલાઈન પર પાકિસ્તાની રેન્જર્સ સાથે વાત કરી જવાનને શોધવા માટે જોઈન્ટ પેટ્રોલિંગનો આગ્રહ કર્યો. પરંતુ તેઓએ બહાનું બનાવ્યું કે તેમના વિસ્તારમાં બોર્ડરની પાસે પાણી ભરાયેલું છે. દિલ્હીથી ઈસ્લામાબાદ પર દબાણ બનાવવામાં આવ્યાં બાદ સાંજે 6 વાગ્યે શબ બોર્ડર પાસેથી મળ્યું. ચર્ચા એવી પણ છે કે ફ્લેગ મીટિંગ પછી શબ મળ્યું. BSFએ માત્ર એટલું કહ્યું કે શબ વિસ્તારમાંથી મળી આવ્યું છે.

જવાનના પુત્રએ કહ્યું- કોઈ કંઈજ નથી જણાવી રહ્યાં

– શહીદ નરેન્દ્રના પુત્ર મોહિતે બુધવારે કહ્યું કે સવારે પિતાની શહાદતની જાણ થઈ. સરકાર જણાવે કે તેમની સાથે શું થયું. કોઈ અધિકાર કંઈજ નથી જણાવી રહ્યાં. અમે સીજીઓ કોમપ્લેક્સ પણ ગયા, ત્યાંથી પણ કંઈજ જાણકારી ન મળી. કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે કહ્યું કે પાકિસ્તાન માટે બર્બરતા કોઈ નવી વાત નથી, તેઓ પહેલાં પણ એવું કરતાં રહ્યાં છે. પાકિસ્તાન સીધી જંગમાં ભારતને હરાવી નથી શકતું. જવાનોને મારીને આપણને નબળાં પાડવાની તેમની નીતિ છે.

શહીદ જવાનના પુત્રએ પાકિસ્તાન વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી

– આ ઉપરાંત શહીદ પિતાના પુત્રએ કહ્યું કે, “અમારા માટે આ ગર્વની વાત છે. દરેકને ત્રિરંગામાં અંતિમ વિદાઈ નથી મળતી. પરંતુ અમે માત્ર ગર્વ કરીને જ ન રહી શકીએ. અમને આજે ગર્વ છે, કાલે ફરી કોઈ શહીદ થશે અને ફરી ગર્વ થશે. અમે સરકાર સમક્ષ એકશનની માંગ કરીએ છીએ.”

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો