‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ને જીવનમંત્ર બનાવનાર સંત પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનો 200માં વર્ષમાં થયો મંગલ પ્રવેશ

‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનો 200માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. કોઈ પણ પ્રકારની ભેટસોગાદ કે રોકડ રકમનું દાન લેવાનું બંધ થયાને 20માં વર્ષમાં પ્રવેશ થયો છે. અહીં દરરોજ હજારો શ્રદ્ધાંળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે અને અહીં હજારો ભક્તો ભોજન ગ્રહણ કરે છે.

એક પણ ટક બંધ રહ્યાં વગર અન્નક્ષેત્ર સતત ચાલુ છે

વિક્રમ સવંત 1856 કારતક સુદ સાતમનાં રોજ વીરપુર ગામે પ્રધાન ઠક્કર અને રાજબાઇનાં ઘરે સમગ્ર વિશ્વમાં વીરપુરનું નામ રોશન કરનાર સૌરાષ્ટ્રનાં સંત જલારામ બાપાનું અવતરણ થયું હતું. પૂજ્ય બાપા જન્મથી જ પર દુઃખભંજક હતા અને ભૂખ્યાની જઠરાગ્ની ઠારવાનું જન્મથી જ કામ કરનાર સૌરાષ્ટ્રના સંતે સંવત 1876 મહાસુદી બીજના દિવસે ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદ લઈ સદાવ્રત ચાલુ કર્યું. જેમાં ગીરનાર પર્વત પર તેમજ સોમનાથ મહાદેવના દર્શન માટે નીકળતા સમગ્ર ભારતવર્ષના યાત્રાળુઓ તેમજ વટેમાર્ગુઓને ભોજન કરાવવાની શરૂઆત કરી હતી. ગણ્યા ગાંઠ્યા યાત્રાળુઓને ભોજન કરાવવાથી શરૂ કરેલ અને આ સદાવ્રત કપરા દુષ્કાળોમાં પણ એક પણ દિવસ કે એક પણ ટક બંધ રહ્યા વગર સતત ચાલુ જ છે.

છેલ્લા 20 વર્ષથી કોઈ રોકડ કે ભેટ સ્વીકારવાનું બંધ છે

સદાવ્રતને કારણે જગવિખ્યાત બનેલા બાપાના ધામમાં પૂજ્ય બાપાનો દેહ વિલય થયો. ત્યારે કે તેમનાં વંશજોમાંથી કોઈનો પણ દેહ વિલય થયો ત્યારે પણ સદાવ્રત બંધ કર્યા વગર સતત ચાલુ જ છે અને હવે 200માં વર્ષનો પ્રારંભ થયો છે. જ્યારે બાપાનાં વંશજ એવા જયસુખરામ બાપાએ આજથી 19 વર્ષ પૂર્વે મંદિરમાં કોઈ રોકડ રકમ કે ભેટસોગાદ સ્વીકારવાનું બંધ કર્યું હતું જેને આજે વીસમું વર્ષ બેઠું છે. સમગ્ર ભારતવર્ષમાં એક પણ રૂપિયાનું દાન ધર્મ લીધા વગર લાખો શ્રધાળુઓને બે સમય ભોજન આપવાનુ શ્રેય વીરપુરધામને જાય છે.

પુજય જલારામ બાપાને સત્ સત્ વંદન..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો