‘રામભરોસે’ રાવણદહન: અમૃતસરમાં રાવણ દહનનો વીડિયો ઉતારતાં લોકો પરથી ટ્રેન પસાર થતાં 70 થી વધુ લોકોના મોત

પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર ઊભા રહી રાવણદહન જોઇ રહેલા લોકો પર બે ટ્રેન ફરી વળી. અમૃતસર રેલવે સ્ટેશનથી બે કિલોમીટરે આવેલા જૌડા ફાટક પર થયેલી આ ઘટનામાં અનેક બાળકો સહિત 70થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 100થી વધુ લોકો ઘવાયા છે. જોકે મૃતકાંક અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. પણ એવું કહેવાય છે કે ઘટના સમયે 700-800 જેટલા લોકો ટ્રેક પર હતા. ધોબીઘાટ પાસે જૌડા ફાટક નજીક રાવણનું પૂતળું સળગાવવામાં આવી રહ્યું હતું.

5 સેકન્ડમાં ટ્રેન પસાર થઈ ને અડધો કિમી સુધી લાશો બિછાવી, 2.5 કલાક થયા લાશ ભેગા કરતા

અમૃતસરમાં લોકો ટ્રેક પર ઊભા રહી રાવણ દહન નિહાળી રહ્યા હતા, આતશબાજીમાં ટ્રેનનો અવાજ સંભળાયો નહીં

રેલવે ટ્રેક અને મેદાન વચ્ચે ખાસ્સું અંતર છે છતાં ઘણા લોકો ટ્રેક પર ઊભા રહી રાવણદહન જોઇ રહ્યા હતા ત્યારે અમૃતસરથી જાલંધર જતી ડીએમયુ ત્યાંથી પસાર થઇ. બીજી બાજુથી પણ અન્ય ટ્રેન એ જ સમયે પસાર થઇ. દહનમાં ફટાકડાના ધડાકા વચ્ચે ટ્રેનોનો અવાજ સંભળાયો જ નહીં અને લોકો ટ્રેન નીચે કપાઇ ગયા. રેલવેના ઇતિહાસની આ અત્યંત ભયાનક ઘટના છે. સામાન્ય રીતે ટ્રેન ડિરેલમેન્ટ તથા બે ટ્રેન સામસામે ભટકાઈ હોય તેવી ઘટના બની છે પરંતુ પહેલીવાર એવી ઘટના બની છે કે ટ્રેને ટ્રેક પર ઊભેલા લોકોને કચડી નાંખ્યા હોય.

દુર્ઘટના પછી ટ્રેક પર અડધો કિમી સુધી લાશો વિખેરાઈ, ભેગી કરતા અઢી કલાક લાગ્યા

– 142થી વધુ ઘાયલ, મૃતકોમાં મોટાભાગના યુપી-બિહારના, પંજાબમાં આજે એક દિવસનો શોક

– ઘટના સ્થળે ગયેલા પંજાબના શિક્ષણમંત્રીને લોકોએ ઢીબી નાંખ્યા, CM આજે અમૃતસર જશે

– ટ્રેન ડ્રાઈવરે કહ્યું- ગ્રાઉન્ડમાં રાવણને બાળવામાં આવી રહ્યો હતો, ધુમાડો હોવાથી કશું દેખાયું નહીં

પહેલા અપ ટ્રેક પર ટ્રેન આવી, તેનાથી બચવા માટે બીજા ટ્રેક પર લોકો પહોંચ્યા તો બીજી ટ્રેન આવી ગઈ

આતશબાજીનો અવાજ 5 મિનિટ બાદ થંભ્યો તો ખબર પડી કે લોકો ટ્રેન નીચે આવી ગયા

પ્રત્યક્ષદર્શી મનીષ કુમારે જણાવ્યું કે ફટાકડાનો અવાજ પાંચ મિનિટ બાદ બંધ થયો તો લોકોને ખબર પડી કે કોઈ અકસ્માત થઈ ગયો છે. ટ્રેક પર લાશો જ વિખરાયેલી હતી. જે ઈજાગ્રસ્ત હતા, તે બૂમો પાડી રહ્યા હતા. લોકો ટ્રેક પર પોતાના સગાને શોધી રહ્યા હતા. જ્યાં સુધી રેસ્ક્યૂ ટીમ પહોંચી, ત્યાં સુધીમાં અડધાથી વધુ લોકો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા.

સાંત્વના આપવા પહોંચેલા મંત્રીને જોઈ ભીડ બેકાબૂ થઈ, સિક્યોરિટી ગાર્ડે બચાવ્યા

સ્થળ પર પહોંચેલા પંજાબના શિક્ષણ મંત્રીને ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. લોકોએ તેમને એક પછી એક અનેક થપ્પડ મારી દીધી. સ્થિતિ બેકાબૂ થતીજોઈ તેમના સિક્યોરિટી ગાર્ડે હવાઈ ફાયર કર્યા. ગોળીનો અવાજ સાંભળી બધા દૂર થઈ ગયા અને તેમને લોકોની વચ્ચેથી નીકાળવામાં આવ્યા. ત્યાં પહોંચેલા પોલીસવાળા સાથે મારપીટ કરી.

પંજાબ સરકારે હેલ્પલાઈન નંબરની પણ જાહેરાત કરી છે.

અમૃતસર રેલવે હેલ્પલાઇન નંબર0183- 2223171
0183 2564485
0183 2564485

રેલવે – 73325
બીએસએનએલ- 0183-2440024
પાવર કેબિન એએસઆર રેલવે –  72820
બીએસએનએલ – 0183-2402927
વિજય સહોતા, એસએસઈ, મોબાઈલ – 7986897301
વિજય પટેલ એસએસઈ, મોબાઈલ -7973657316
ડિસ્ટ્રીક્ટ કલેક્ટર 0183-2421050

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો