અમદાવાદમાં આઠમા માળેથી કૂદીને વેપારીનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં પત્ની-દીકરાનો ઉલ્લેખ કર્યો

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય વ્યક્તિએ શનિવારે બપોરે આત્મહત્યા કરી લીધી. નવરંગપુરા વિસ્તારમાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગના આઠમા માળેથી કૂદીને શખ્સે આત્મહત્યા કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આર્થિક સંકડાશ આત્મહત્યાનું કારણ હોઈ શકે છે. મૃતકની ઓળખ રવિ દવે તરીકે થઈ છે. જે સેટેલાઈટ વિસ્તારના સચિન ટાવરમાં રહેતો હતો. કંસ્ટ્રક્શન અને બિલ્ડિંગ મટિરિયલનો રવિ દવેનો બિઝનેસ હતો.

પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, “રવિ દવે એક મોટી ટેલિકોમ કંપની સહિત મોટી કંપનીઓ માટે કામ કરતો હતો.” આત્મહત્યા કરવા માટે રવિ દવે નીકળ્યો તે પહેલા તેની ડાયરી ઘરે મૂકતો ગયો હતો. જેમાં તેણે પરિવાર માટે છેલ્લો સંદેશો લખ્યો હતો. રવિએ આપઘાત માટે માત્ર ને માત્ર પોતાને જ જવાબદાર ઠેરવ્યો છે. પોતાની સ્યૂસાઈડ નોટમાં પત્ની અલ્પા અને દીકરા આદિત પ્રત્ય કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સ્યૂસાઈડ નોટમાં લખ્યું, પત્ની અને દીકરાને દુઃખમાં જોઈને તેને પીડા થતી હતી. તેણે મિત્રો અને પરિવારજનોને દીકરા અને પત્નીનું ધ્યાન રાખવાની વિનંતી કરી હતી. છેલ્લે ‘ગુડ બાય’ લખ્યું હતું.

ગણેશ પ્લાઝાની B વિંગ

પોલીસના જણાવ્યા પ્રમાણે, રવિ શનિવારે સવારે રોજની જેમ જ કામ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. નવરંગપુરા પોસ્ટ ઓફિસની નજીક આવેલા ગણેશ પ્લાઝા કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે રવિ બપોરે 2.15 કલાકે પહોંચ્યો હતો. ત્યાં પોતાની ઓફિસે જવાને બદલે રવિ ગણેશ પ્લાઝાના B વિંગના 8મા માળે પહોંચ્યો હતો. ત્યાં લગભગ 10 મિનિટ સુધી આંટાફેરા માર્યા હતા. બાદમાં બૂટ અને મોજા કાઢીને પાળી પર ચઢી ગયો. નીચે જોયું અને મોતની છલાંગ લગાવી હતી. તેનું માથું જમીન સાથે એટલું જોરથી પછડાયું હતું કે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તેમ ઘટના નજરે જોનારા સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું.

ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પોલીસ અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. નવરંગપુરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં 108ના તબીબે રવિ દવેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે રવિ દવેના પરિવારને આત્મહત્યા વિશે જાણ કરી હતી. મૃતકના મિત્ર તપન કુમાર રવિના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. રવિને લોહીના ખાબોચિયામાં પડેલો જોઈને તેઓ ભાંગી પડ્યા હતા. રવિનો મૃતદેહ અસારવા સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે કારણકે હત્યા અને આપઘાતના કેસમાં સૂર્યાસ્ત પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી. નવરંગપુરા પોલીસ સ્ટેશને અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કેસની કેટલીક અન્ય માહિતીની વાત કરીએ તો, બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું, રવિ દવે પોતાની મોટરસાઈકલ પર ગણેશ પ્લાઝા પહોંચ્યો હતો. પહેલા તેણે બાઈક બહાર પાર્ક કર્યું હતું. જો કે, સિક્યુરિટી ગાર્ડે પાર્કિંગમાં પાર્ક કરવાનું કહેતા સ્માઈલ આપીને વ્યવસ્થિત પાર્કિંગ કર્યું હતું. બાદમાં તે આઠમા માળે ગયો જ્યાં લોકોની અવરજવર ઓછી હોય છે. તે કોઈની સાથે ફોન પર વાત કરતો હોય તેવો ડોળ કર્યો અને ત્યાં આંટા મારવા લાગ્યો હતો. બાદમાં પાળી પર ચઢીને છલાંગ લગાવી દીધી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતક પાસેથી મળેલા મોબાઈલમાંથી તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને જાણ થઈ કે ફોનમાં સિમકાર્ડ જ નથી. બાદમાં પોલીસે મૃતક પાસેથી મળેલા એડ્રેસના આધારે પરિવારનો સંપર્ક કર્યો હતો. પોલીસનું માનવું છે કે, મૃતકે મોબાઈલમાંથી સિમકાર્ડ કાઢી લીધું હશે જેથી આત્મહત્યા પહેલા કોઈ તેનો સંપર્ક ના કરી શકે. આ સિવાય સિમકાર્ડ કાઢતા પહેલા તેણે પોતાના ફોન કૉલ્સ ફ્રેન્ડના નંબર પર ફોરવર્ડ કરી દીધા હતા. મોબાઈલ સહિતની અન્ય વસ્તુઓ મૃતકના પરિવારને સોંપી દેવાઈ છે.

દવેની સ્પાઈરલ નોટબુકમાં તેણે ટૂંકમાં વિવિધ અકાઉન્ટ વિશેની વિગત આપી છે. નોટબુકના પહેલા પાંચ પાનામાં નાણાંકીય વ્યવહારોનો ઉલ્લેખ છે. ઘણી જગ્યાએ તેણે 70 ટકા ખોટ કે 90 ટકા ખોટ લખેલું હતું. તો અન્યમાં જીએસટી વિશે ટૂંકમાં માહિતી હતી. ડાયરીમાં તેણે છેલ્લા થોડા મહિનાઓમાં જે-જે સ્થળોની મુલાકાત લીધી હતી તે વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. ડાયરીના છેલ્લા 4 પાનામાં કેટલાક કોન્ટેક્ટ નંબર અને તેમના જીએસટી નંબર લખેલા હતા. વેપારને લગતા કેટલાક સોદા થયા બાદ તેણે પ્રેરણાદાયી વિચારો પણ લખ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસને અંદાજો છે કે, રવિ દવે આર્થિક તંગીનો સામનો કરતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો