સોનુ સૂદે જણાવ્યું કેવી રીતે કરે છે બધાની મદદ, રોજના 50 હજાર ફોન કૉલ, સતત 22 કલાક સુધી કામ, જો તમામ રિક્વેસ્ટ પૂરી કરવા જાઉં તો 11 વર્ષ જેટલો સમય થાય

કોરોનાની બીજી લહેરમાં પણ બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત દેશની જનતાની મદદમાં વ્યસ્ત છે. હાલમાં જ સોનુ સૂદે કહ્યું હતું કે તે તથા તેની ટીમ સતત વ્યસ્ત રહે છે. સોનુએ કહ્યું હતું કે તે 22 કલાક સુધી કામ કરે છે. તેને રોજની 40થી 50 હજાર મદદ માટે રિક્વેસ્ટ આવે છે. તે બસ જેમ બને તેમ વધુને વધુ લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શું કહ્યું સોનુ સૂદ?

ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં સોનુ સૂદે કહ્યું હતું કે ગયા લૉકડાઉનથી લઈ અત્યાર સુધીના લૉકડાઉનમાં તે સતત જરૂરિયાતમંદને મદદ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તે તથા તેની ટીમ હાલમાં કોરોના દર્દીઓ તથા જરૂરિયાતમંદને મદદ કરવામાં વ્યસ્ત છે.

કેવી રીતે કરે છે મદદ?

સોનુએ કહ્યું હતું, ‘હું એમ કહીશ કે તંત્ર પણ મદદ કરી રહ્યું છે, પરંતુ દરેક વ્યક્તિએ મદદ કરવી પડશે. કારણ કે આ સમયે દરેકને કોઈને કોઈ મદદની જરૂર છે. હું કેવી રીતે કરું છું, એ તો મને પણ ખબર નથી. હું અંદાજે 22 કલાક ફોન પર હોઉં છું. અમને રોજની 40થી 50 હજાર મદદ માટેની રિક્વેસ્ટ આવે છે. મારી 10 લોકોની ટીમ માત્રને માત્ર રેમડેસિવિર ઈન્જેક્શન માટે કામ કરે છે. મારી એક ટીમ માત્ર હોસ્પિટલમાં બેડ્સ અરેન્જ કરવામાં વ્યસ્ત છે. શહેરના હિસાબે અમે લોકો ફરીએ છીએ. મારે દેશભરના ડૉક્ટર્સ સાથે વાત કરવાની હોય છે. જેમને જે પ્રકારની મદદની જરૂર હોય, અમે તે રીતે મદદ પહોંચાડીએ છીએ. જે લોકોને અમે મદદ કરી હોય છે, તે પછી અમારી ટીમનો હિસ્સો બને છે. હું તમને કહું તો મને જેટલી પણ રિક્વેસ્ટ આવી છે, તે તમામને પૂરી કરવાનો પ્રયાસ કરું તો અંદાજે 11 વર્ષ થઈ જાય. બહુ જ બધી રિક્વેસ્ટ છે. જોકે, અમારો પ્રયાસ છે કે વધુમાં વધુ લોકોનો જીવ બચી જાય.’

સોનુ સૂદે વધુમાં કહ્યું હતું, ‘અમે એક યુવતીને હોસ્પિટલમાં બેડ અપાવવાનો પ્રયાસ કરતા હતા. જોકે, બેડ મળતો નહોતો. રાતના એક વાગ્યા હતા અને તેની બહેન ફોન પર રડતી હતી અને કહેતી હતી કે તમે તેને બચાવી લો નહીંતર અમારો પરિવાર ખત્મ થઈ જશે. હું ઘણો જ ટેન્શનમાં હતો. આમ કરતાં કરતાં રાતના અઢી વાગ્યા હતા અને પ્રાર્થના કરતો હતો કે યુવતી સવાર સુધી જીવી જાય, જેથી અમે બેડની વ્યવસ્થા કરી શકીએ. મને સવારે છ વાગે ફોન આવ્યો અને તેને બેડ મળ્યો. અત્યારે તે સારી છે. આ રીતની મદદ કરીને ઘણો જ આનંદ થાય છે.’

વધુમાં સોનુએ કહ્યું હતું, ‘હાલમાં મારી પાસે નેગેટિવ વિચાર કે ગુસ્સો કરવાનો સમય નથી. અત્યારે લોકોએ આ બધું એક બાજુએ મૂકીને બીજાની મદદ માટે આગળ આવવાની જરૂર છે.’

રાહત કાર્યમાં સૌથી મોટી અડચણ

સોનુ સૂદે રાહત કાર્યમાં આવતી મુશ્કેલી અંગે કહ્યું હતું, ‘સૌથી મોટી મુશ્કેલી નવા શહેરમાં થાય છે. જ્યારે તમારા કોન્ટેક્ટમાં કોઈ ના હોય તો તમે શું કરો. અમે ત્યાંના લોકોને અમારી ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ગામડે જવા માટે કોઈ સાધન ના હોય તો અમે જાતે જ કાર મોકલીએ છીએ. તેમને હોસ્પિટલ પહોંચાડીએ છીએ. હોસ્પટિલની હાલત પણ ખરાબ હતી. આથી ઘણી જ અડચણો આવે છે.’

સોનુ સૂદે કહ્યું હતું, ‘ઘણીવાર અનેક પ્રયાસો બાદ પણ દર્દી ના બચી શકે ત્યારે દુઃખ થાય છે. દેહરાદૂનની સબા નામની યુવતી હતી. તેને પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો જતો હતો અને તેને ટ્વિન્સ હતા. સબાની સ્થિતિ ઘણી જ ગંભીર હતી. તેના પતિ તથા બહેને સો.મીડિયાના માધ્યમથી મદદ માગી હતી. અમે તેને હોસ્પિટલમાં બેડ અપાવ્યો, ICUની જરૂર પડી તો એ પણ કર્યું. પછી પ્લાઝ્માની જરૂર પડી તો એ કામ પણ કર્યું. છેલ્લે વેન્ટિલેટરની જરૂર પડી તો એ પણ લાવી આપ્યું હતું. અમને લાગ્યું કે અમે સબાને બચાવી લીધી છે. જોકે, પછી બીજા દિવસે ફોન આવ્યો કે તે હવે આ દુનિયામાં નથી. આ વાત જાણીને ઘણું જ દુઃખ થયું હતું.’

‘તમને વિશ્વાસ નહીં થાય કે સબાના મોતના 10 કલાક બાદ તેના પતિ તથા બહેનનો ફોન આવ્યો કે તે અમારી ટીમ સાથે જોડાઈને મદદ કરવા માગે છે. આ એક એવો સમય છે જ્યાં તમે ગમે તેટલા અમીર હો તેનાથી કોઈ ફરક પડતો નથી. મોટા-મોટા લોકો પાસે હું મદદ માગતો, આજે તે આજે મને ફોન કરીને મારી મદદ માગી રહ્યાં છે. હું બધાને એટલું જ કહેવા માગીશ કે વિચારો નહીં કે તમે કેવી રીતે કરશો. બસ પહેલું પગલું ભરવું જરૂરી છે. તમારે દરિયામાં કૂદવાની જરૂર છે, તમને દરિયાની લહેરો આપોઆપ તરતા શીખવી દેશે.

કોરોના પોઝિટિવ હતો ત્યારે 24 કલાક કામ કરતો

સોનુ સૂદે આગળ કહ્યું હતું, ‘જ્યારે મને કોરોના થયો ત્યારે હું રૂમમાં બંધ હતો. ત્યારે મારી પાસે 24 કલાક હતા. અત્યારે હું 22 કલાક કામ કરું છું. આઈસોલેશનમાં હતો ત્યારે મિત્રો કહેતા કે સારી સારી ફિલ્મ જોજો. મેં હજી સુધી રિમોટને હાથ લગાવ્યો નથી. મારી પાસે સમય જ નથી. મારો તો મંત્ર છે કે કોઈ પણ વ્યક્તિ હોય પછી તે એક્ટર હોય, શિક્ષક હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કેમ ના કરતો હોય, તે બીજાનો જીવ બચાવી શકે છે.’

સિસ્ટમની લાચારી સામે મજબૂર થયો સોનુ

સોનુએ આગળ કહ્યું હતું, ‘મને લાગે છે કે પહેલાં આપણે ફરિયાદ કરતાં કે ભારતમાં આવું હોત તો સારું થાત, રસ્તા સારા હોત, હોસ્પિટલ સારી હોત, પરંતુ આ વખતે જે થયું તે બહુ જ ખરાબ થયું છે. અનેક માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હું તમને કહી નથી શકતો કે કેટલાં યંગ લોકો છે. 18, 20, 22 વર્ષના લોકો મોતને ભેટ્યા છે. એક મહિના પહેલાં આપણે વિચારી પણ શકીએ તેમ નહોતા કે કોરોનાની આવી લહેર આવશે અને આટલું નુકસાન કરશે. લોકો એ વાત ક્યારેય નહીં ભૂલી શકે તેઓ પોતાનાને ઓક્સિજન સિલિન્ડરને કારણે બચાવી ના શક્યા. લોકો ફોન પર મને આજીજી કરે છે અને હું લાચારી અનુભવું છું. હું ઈચ્છું છું કે કોઈની સાથે હવે ક્યારેય આવું ના થાય.’

ભવિષ્યમાં શું કરવા માગે છે?

સોનુ સૂદે ફ્યૂચર પ્લાન અંગે કહ્યું હતું, ‘મારે તો દેશ માટે જ ઊભા રેહવું છે. હું બહુ બધા બાળકોને ઓળખુ છું, જેમણે માતા-પિતા ગુમાવી દીધા છે. આ તમામ માટે સરકારે આગળ આવવાની જરૂર છે. કોરોનામાં મા-બાપને ગુમાવી ચૂકેલા બાળકોના અભ્યાસમાં કોઈ ફી હોવી જોઈએ નહીં. આ બાળકો સરકારી કે પ્રાઈવેટ સ્કૂલમાં મફતમાં ભણે. મેં પહેલાં પણ કહ્યું છે કે સ્મશાન ઘાટ પર બધું જ ફ્રીમાં હોવું જોઈએ. આ સમય હવે તે બાળકોને સાથ આપવાની જરૂર છે. હું કોરોનામાં જે બાળકોના મા-બાપનું અવસાન થયું છે, તેમના માટે અભિયાન શરૂ કરવાનો છું. અત્યારે તો હું આ બધામાં વ્યસ્ત છું, પરંતુ બાળકોના ફ્રી એજ્યુકેશન પર કામ કરીશ.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો